LPGની અછતે ઘર પરત ફરવા મજબૂર હજ્જારો મજૂરો

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવનો પ્રભાવ હવે દેશનાં ઔદ્યોગિક શહેરો સુધી પહોંચ્યો છે. ગુજરાતના સુરતમાં ગેસ સપ્લાય પ્રભાવિત થતાં મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો પોતાના ગામ તરફ પરત જવા મજબૂર બન્યા છે. સ્થાનિક સ્તરે LPG ગેસની અછતને કારણે નાના ઉદ્યોગો અને ફેક્ટરીઓ પર પણ ગંભીર અસર પડી છે. ગેસની અછતને કારણે ઘણી ફેક્ટરીઓ તાત્કાલિક બંધ થવા લાગી છે, જેને કારણે મજૂરો સામે રોજગાર અને રોજી-રોટીનું સંકટ ઊભું થયું છે.

શહેરના પ્રવાસી મજૂર સચિને જણાવ્યું હતું કે અમે ગામ જઈ રહ્યા છીએ કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી ગેસ મળી નથી રહ્યો. અમારી કંપનીઓ પણ બંધ થઈ રહી છે. હવે શું કરીએ? ભૂખ્યા મરવાની સ્થિતિ છે, તેથી ગામ પરત જઈ રહ્યા છીએ. અમારી પાસે પૈસા પણ નથી. ગેસ મેળવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ અહીં કોઈ મદદ કરતું નથી. ગેસ સપ્લાય ફરી શરૂ થશે ત્યારે જ પાછા આવીશું. ઘણા લોકો પાછા જઈ રહ્યા છે. સચિને વધુમાં કહ્યું કે છેલ્લા 4-5 દિવસથી મુશ્કેલી વધારે વધી ગઈ છે. ગેસ 500 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યો છે અને એટલા પૈસા પણ નથી, તેથી ગામ જવાનું નક્કી કર્યું છે.

બીજી તરફ પ્રવાસી મજૂર સીમા દેવીએ જણાવ્યું હતું કે ગેસની સમસ્યાને કારણે હું મારા ગામ પરત જઈ રહી છું. અમારા ખાતાં બંધ થઈ રહ્યા છે અને પૈસા પણ નથી. જે મજૂરી કરીએ છીએ અને 500-1000 રૂપિયા કમાઈએ છીએ, તે પણ મળતા નથી અને ગેસ પણ નથી મળી રહ્યો. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસથી ગેસ ઉપલબ્ધ નથી.

ગેસ સંકટને કારણે સુરતમાં મજૂરોના સ્થળાંતરની સ્થિતિ સર્જાઈ છે, જે માત્ર સ્થાનિક ઉદ્યોગો માટે જ નહીં પરંતુ સમગ્ર પરિસ્થિતિ માટે ચિંતાજનક છે. આ ઘટના દર્શાવે છે કે વૈશ્વિક ભૂ-રાજકીય તણાવનો પ્રભાવ હવે સામાન્ય લોકોના જીવન પર પણ ગંભીર રીતે પડી રહ્યો છે.