સુરતમાં લેબગ્રોન ડાયમંડનો ચળકાટ, સેબોર્ગાની પ્રિન્સેસએ 55 કાંકરી જ્વેલરી લોન્ચ કરી

સુરત: એક તરફ શહેર હીરાની મંદીનો માર સહન કરી રહ્યું છે. ત્યારે બીજી તરફ લેબગ્રોન ડાયમંડના કારણે ઇન્ડસ્ટ્રી ટકી રહી હોવાનો એક સુર સર્વવ્યાપ્ત બન્યો છે. હીરાની મંદી ક્યાં સુધી ચાલશે એ નક્કી નથી. દિવાળી માથે છે, પણ હીરાબજારમાં દિવાળીની રોનક નથી. જો નેચરલના વિકલ્પ તરીકે લેબગ્રોન ના હોત તો શું સ્થિત હોત એ કલ્પવી અઘરી છે. સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બાબુભાઈ વાઘાણીએ ચિત્રલેખા.કોમને કહ્યું, “નેચરલની મંદીમાં લેબગ્રોન સંકટમોચન તરીકે ઉભરી રહ્યા છે.”સુરતમાં લેબગ્રોન ડાયમંડનું એક મોટું માર્કેટ ઉભુ થઈ રહ્યું છે. નવરાત્રિમાં આ માર્કેટમાં વધુ એક જ્વેલરીની ભાત ઉમેરાઈ છે. ડાયમંડ સિટી તરીકે વિશ્વ પ્રસિદ્ધ સુરતમાં સેબોર્ગાની પ્રિન્સેસ નીના ડેનિએલા મેનેગાટ્ટો દ્વારા 55 કાંકરી લેબગ્રોન ડાયમંડ જ્વેલરી લોન્ચ કરવામાં આવી છે. જેમાં પ્રિન્સેસ નીનાએ લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી એ ઉજ્જવળ ભવિષ્ય હોવાનું કહ્યું હતું. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. કંપનીના ડિરેક્ટર અભિષેક દાલમિયાએ જણાવ્યું હતું, “એ છેલ્લા પાંચ વર્ષથી CVD હીરાનું ઉત્પાદન કરે છે. હવે કંપની તેની 55 સ્ટોન લેબગ્રોન ડાયમંડ જ્વેલરી લોન્ચ કરી રહી છે.”સેબોર્ગાની પ્રિન્સેસ નીના ડેનિએલા મેનેગાટ્ટોને આ બ્રાન્ડને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવા માટે લોન્ચિંગ ઈવેન્ટ માટે સુરતમાં આમંત્રણ આપવામાં આવ્યું. હોટેલ મેરિયટ પાસેની સરિતા દર્શન સોસાયટીમાં આ જ્વેલરીના લોન્ચિંગ સાથે કંપનીના શોરૂમનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કંપની પોતે ઉત્પાદક છે, તેથી ગ્રાહકોને જ્વેલરી ખરીદવામાં સીધો લાભ મળશે. આ જ્વેલરી તેમની પત્ની સ્નેહ દાલમિયા દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ જાણીતા ડિઝાઇનર છે અને છેલ્લા વીસ વર્ષથી સુરતમાં ફેશન ડિઝાઇનર તરીકે કામ કરે છે.સુરતમાં નેચરલ ડાયમંડના અનેક વેપારીઓ કારખાનેદારો હવે લેબગ્રોન તરફ વળી રહ્યા છે. આવનાર સમયમાં લેંબગ્રોન ડાયમંડનું સામ્રાજ્ય હશે એવો માહોલ ઉભો થઇ રહ્યો છે.