ઉત્તર પ્રદેશ: મથુરામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વાર્ષિક બેઠક દરમિયાન આર.એસ.એસ.ના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ‘બટેંગે તો કટેંગે’વાળા નિવેદનનું સમર્થન કર્યું. તેમણે કહ્યું કે આપણે આને આચરણમાં લાવવું જોઈએ. આ હિંદુની એકતા અને લોક કલ્યાણ માટે જરૂરી છે.દત્તાત્રેય હોસબોલેએ કહ્યું, “ગયા વર્ષ કરતાં આ વખતે આર.એસ.એસ.ની બ્રાન્ચ વધી છે. સમગ્ર દેશમાં સંઘની 72,354 બ્રાન્ચ ચાલી રહી છે. વર્તમાન સમયમાં એકતા જાળવી રાખવાની છે. ઘણા સ્થળે ધર્માંતરણ થઈ રહ્યું છે. ગણેશ પૂજા અને દુર્ગા પૂજાના પંડાલ પર હુમલા થઈ રહ્યા છે. આ મામલે પોતાની રક્ષા પણ કરવી જોઈએ અને એકતા પણ જાળવી રાખવી જોઈએ જેનાથી શાંતિ જળવાઈ રહે.”
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ‘બટેંગે તો કટેંગે’ ના નિવેદનના સવાલ પર તેમણે કહ્યું, ‘આનો અર્થ છે કે એકતાની જરૂર છે અને આપણે તેને આચરણમાં લાવવાનું છે. લોકો આને સમજી રહ્યાં છે અને લાગુ કરી રહ્યાં છે. આ હિંદુ એકતા અને લોક કલ્યાણ માટે ખૂબ જરૂરી છે. હિંદુઓની એકતા તોડવા માટે લોકો કામ કરી રહ્યાં છે.’
