રાજનાથ સિંહે ચીનમાં SCO બેઠકમાં પાકિસ્તાનને લગાવી ફટકાર

કિંગદાઓઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે ચીનના કિંગદાઓ શહેરમાં યોજાયેલી શાંઘાઈ સહયોગ સંસ્થા (SCO)ના સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં ભાષણમાં આ દેશોની કડક નિંદા કરી, જે પોતાના રાજકીય હથિયાર તરીકે સરહદી આતંકવાદનો ઉપયોગ કરે છે અને આતંકવાદીઓને આશરો આપે છે. તેમનું આ નિવેદન એપ્રિલમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા પછી આવ્યું છે.

સંરક્ષણ મંત્રીએ SCO  સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં SCO ઘોષણા પત્ર પર હસ્તાક્ષર કરવાથી ઇનકાર કરી દીધો હતો.  આ દસ્તાવેજમાં આતંકવાદના મુદ્દાને નબળો પાડવાના પ્રયાસો થયા હતા.

સિંહે કહ્યું હતું કે કેટલાક દેશો સરહદી આતંકવાદને નીતિના સાધન તરીકે ઉપયોગ કરે છે અને આતંકીઓને આશરો આપે છે. આવા બેવડાં ધોરણો માટે કોઈ જગ્યા ન હોવી જોઈએ. SCOએ આવા દેશોની નિંદા કરવામાં સંકોચ કરવો નહીં જોઈએ.

તેમણે 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની પણ વાત કરી જેમાં નેપાળના એક નાગરિક સહિત 26 નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા. રાજનાથસિંહે પાકિસ્તાન પર સીધો આક્ષેપ કરતાં કહ્યું હતું કે આ હુમલાની જવાબદારી પાકિસ્તાન આધારિત આતંકી સંગઠન ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’એ લીધી હતી, જે યુનાઇટેડ નેશન્સ દ્વારા આતંકી જાહેર કરવામાં આવેલા લશ્કર-એ-તૈયબાનું અંગ છે.

તેમણે જણાવ્યું કે ભારતે “રક્ષણના અધિકાર”નો ઉપયોગ કરતાં “7 મેએ સફળતાપૂર્વક ઓપરેશન સિંદૂર” ચલાવ્યું હતું, જેના માધ્યમથી સરહદ પારના આતંકી માળખાને નાશ કરવામાં આવ્યા હતાં.

સિંહે કહ્યું, “પહેલગામ હુમલાનું પેટર્ન ભારતે અગાઉ ભોગવેલા અનેક આતંકી હુમલાઓથી મળે છે. આતંકવાદ સામે લડવા અને સરહદ પારથી થતા હુમલાઓ રોકવા માટે ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને સફળતા મેળવી છે.

શાંઘાઈ સહકાર સંગઠનની સંરક્ષણ મંત્રીઓની બેઠક 25-26 જૂન દરમિયાન ચીનના કિંગદાઓમાં યોજાઈ રહી છે, જેમાં ભારત, ચીન, રશિયા અને મધ્ય એશિયાના ઘણા સભ્ય દેશો સામેલ છે. તેઓ ક્ષેત્રિય અને વૈશ્વિક શાંતિ-સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે.