નવી દિલ્હીઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારીને તેમના ખોટા દાવાઓને કારણે વિશ્વ સમક્ષ શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. ભારત વિરુદ્ધ પ્રોપેગેન્ડા ફેલાવવા માટે અમેરિકામાં યુનાઇટેડ નેશન્સ (યુએન)માં પહોંચેલા બિલાવલ ભુટ્ટોને આ વખતે ભારતે નહી પરંતુ આંતરરાષ્ટ્રીય મિડિયાએ જ સચોટ જવાબ આપ્યો છે.
બિલાવલ ભુટ્ટો UNમાં મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ, મહાસભાના અધ્યક્ષ ફિલેમન યાંગ અને સુરક્ષા પરિષદની અધ્યક્ષ કેરોલિન રોડ્રિગ્ઝ બર્કેટ સાથે બેઠક કરવા માટે પાકિસ્તાની પ્રતિનિધિમંડળ સાથે અમેરિકામાં પહોંચ્યા હતા. અમેરિકામાં પાકિસ્તાની નેરેટિવ ફેલાવવા માટે બિલાવલને મોકલવામાં આવ્યા હતા.
UNમાં પ્રેસ બ્રીફિંગ દરમિયાન જ્યારે બિલાવલ ભુટ્ટોએ ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ કર્યું અને ખોટું કહ્યું હતું કે પહેલગામ હુમલા પછી મુસ્લિમોને શૈતાન સમાન જોવામાં આવે છે, ત્યારે એક વિદેશી પત્રકારે જણાવ્યું હતું કે તેણે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતની સેનાની પ્રેસ બ્રીફિંગ જાતે જોઈ છે, જેમાં નેતૃત્વ એક મુસ્લિમ સૈન્ય અધિકારી કર્નલ સોફિયા કુરૈશી કરી રહી હતી.
પત્રકારે કહ્યું, “મેં ભારત અને પાકિસ્તાન બન્નેની સૈન્ય બ્રીફિંગ જોઈ છે અને જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી ભારતીય સેના બ્રીફિંગનું નેતૃત્વ મુસ્લિમ સૈનિક અધિકારીએ કર્યું હતું. જ્યારે UNના પત્રકારોએ કર્નલ સોફિયા કુરૈશીનો ઉલ્લેખ કર્યો ત્યારે બિલાવલ ભુટ્ટો ઝરદારીના ચહેરાનો રંગ ઊડી ગયો હતો.
