ઉત્તર પ્રદેશના નોઈડાના અશ્વિન કુમાર સુપ્રા (50) નામના વ્યક્તિની મુંબઈને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે આ કાર્યવાહી કરી હતી.
મુંબઈ પોલીસને ગઈ કાલે બોમ્બની ઘમકી મળી હતી. જોકે, ધમકી મળ્યાના 24 કલાકની અંદર ક્રાઈમ બ્રાન્ચે ધમકી આપનારને નોઈડા સેક્ટર 79માંથી પકડી લીધો હતો. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે મુખ્ય આરોપી મૂળ બિહારનો છે. ધમકી આપવામાં વપરાયેલ તેનો ફોન અને સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યું છે. તેને નોઈડાથી મુંબઈ લાવવામાં આવ્યો છે. વધુ તપાસ કરવામાં આવશે.
અગાઉ, મુંબઈ પોલીસે માહિતી આપી હતી કે મુંબઈ ટ્રાફિક પોલીસને તેમના સત્તાવાર વોટ્સએપ નંબર પર ધમકીઓ મળી હતી. ધમકીમાં દાવો કરવામાં આવ્યો હતો કે શહેરમાં 34 વાહનોમાં 34 ‘માનવ બોમ્બ’ લગાવવામાં આવ્યા છે. આ વિસ્ફોટ આખા મુંબઈને હચમચાવી નાખશે. ‘લશ્કર-એ-જેહાદી’ હોવાનો દાવો કરતી આ સંસ્થાએ દાવો કર્યો હતો કે 14 પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં ઘૂસી ગયા છે. ધમકીભર્યા સંદેશમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે વિસ્ફોટમાં 400 કિલો RDXનો ઉપયોગ કરવામાં આવશે. મુંબઈ પોલીસ સતર્ક છે અને રાજ્યભરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ધમકીના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
ગયા મહિનાની શરૂઆતમાં, નવી મુંબઈ પોલીસે મુંબઈ-અમદાવાદ ફ્લાઇટ અને મહાનગરમાં છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બોમ્બ વિસ્ફોટની ધમકીના સંદર્ભમાં FIR નોંધી હતી. પોલીસે જણાવ્યું હતું કે બુધવારે બપોરે 2 થી 2.30 વાગ્યાની વચ્ચે નવી મુંબઈના સંયુક્ત પોલીસ કમિશનરના કાર્યાલયમાં એક ફોન આવ્યો હતો. ફોન કરનારાઓએ કહ્યું હતું કે મુંબઈ-અમદાવાદ ફ્લાઇટમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. પોલીસે વધુમાં કહ્યું હતું કે બીજા ફોનમાં કહેવામાં આવ્યું હતું કે મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને સાંજે 6:30 વાગ્યે ઉડાવી દેવામાં આવશે. જોકે, તપાસમાં કંઈ શંકાસ્પદ મળ્યું નથી. જે મોબાઇલ નંબરો પરથી કોલ કરવામાં આવ્યા હતા તે ઓળખી કાઢવામાં આવ્યા હતા.
