પુરીઃ ઓડિશાના પુરીમાં આયોજિત વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા દરમ્યાન ભીષણ ગરમી અને ભીડને કારણે આશરે 625 લોકો બીમાર પડી ગયા હતા અને અનેક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ રથયાત્રા દરમ્યાન અનેક લોકોએ મામૂલી ઇજા, ઊલટી અને બેભાન થવાની ફરિયાદ કરી હતી અને એનું મુખ્ય કારણ મોટી જનમેદનીની સ્થિતિ હતી, એમ પુરીના મુખ્ય જિલ્લાધિકારી (CDMO) ડો. સતપથીએ જણાવ્યું હતું.
આ વર્ષે પુરીમાં રથયાત્રામાં એક તરફ ભારે ગરમી હતી અને બીજી તરફ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હતા. આ બંને કારણોસર ઘણાં શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા અને કેટલાક બેભાન પણ થઈ ગયા હતા. આ ઉપરાંત, ભગવાન બલભદ્રના તાલધ્વજ રથને એક વળાંક પર ખેંચવામાં ઘણી મુશ્કેલી પડી હતી, જેના કારણે શોભાયાત્રા ધીમી પડી ગઈ હતી. આ રથ થંભી જવાથી મોટી સંખ્યામાં ભક્તો સ્થળ પર એકઠા થઈ ગયા હતા. વિશાળ ભીડને નિયંત્રિત કરવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળ (CAPF)ની આઠ કંપનીઓ સહિત લગભગ 10,000 સુરક્ષા કર્મચારીઓને શહેરમાં તહેનાત હતા. ઓડિશાના DGP વાય.બી. ખુરાનિયાએ જણાવ્યું હતું કે, ‘અમે રથયાત્રાના સુચારુ સંચાલન માટે દરેક શક્ય વ્યવસ્થા કરી છે. રથયાત્રા પર 275 થી વધુ AI-સક્ષમ CCTV કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
