રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન

મુંબઈ: 9 ઓક્ટોબરના રોજ દેશ સહિત સમગ્ર વિશ્વમાં જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થઇ હતું. ત્યાર બાદ ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન કોણ બનશે તેને લઈને સવાલો ઉભા થયા હતા, જેનાં પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયું છે. ટાટા ટ્રસ્ટની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટા નવા ચેરમેન બનશે.નોએલ ટાટા તેમના પારિવારિક જોડાણો અને ગ્રૂપની કેટલીક કંપનીઓમાં સામેલગીરીને કારણે ટાટા વારસાને આગળ ધપાવવા માટે મજબૂત દાવેદાર હતા. નોએલ ટાટા પહેલાથી જ સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી છે. નેવલ અને સિમોન ટાટાના પુત્ર નોએલ ટ્રેન્ટ વોલ્ટાસ, ટાટા ઈન્વેસ્ટમેન્ટ્સ અને ટાટા ઈન્ટરનેશનલના ચેરમેન છે. ટાટા સ્ટીલના વાઇસ ચેરમેન અને સર રતન ટાટા ટ્રસ્ટના બોર્ડમાં પણ છે.ટાટા ટ્રસ્ટનું મહત્વ અને કદ આ રીતે સમજી શકાય છે કે તે ટાટા ગ્રૂપની ચેરિટેબલ સંસ્થાઓનું એક ગ્રૂપ છે, જે 13 લાખ કરોડ રૂપિયાની આવક સાથે ટાટા ગ્રૂપમાં 66% હિસ્સો ધરાવે છે. આ અંતર્ગત સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટ ટાટા સન્સનો 52% હિસ્સો ધરાવે છે.