નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે કે દેશમાં કુલ 10.13 લાખ સરકારી શાળાઓમાંથી 5149 શાળાઓ એવી છે જ્યાં એક પણ વિદ્યાર્થી દાખલ નથી, છતાં આ સંસ્થાઓમાં મોટી સંખ્યામાં શિક્ષકો કાર્યરત છે. સરકારી આંકડાઓ મુજબ શૈક્ષણિક વર્ષ 2024-25 દરમિયાન જેમ શાળાઓમાં એક પણ વિદ્યાર્થીનું નામાંકન થયું નથી, તેમાંના 70 ટકાથી વધુ શાળાઓ તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં આવેલી છે.
હાલ દેશમાં 1.44 લાખ શિક્ષકો એવી સરકારી શાળાઓમાં નિયુક્ત છે, જ્યાં 10થી ઓછા વિદ્યાર્થીઓ છે અથવા જ્યાં એક પણ નામાંકન નથી. શિક્ષણ મંત્રાલય દ્વારા તાજેતરમાં સંસદમાં રજૂ કરાયેલા આંકડાઓથી આ માહિતી સામે આવી છે. સરકારે જણાવ્યું છે કે 10થી ઓછા અથવા શૂન્ય નામાંકનવાળી શાળાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને છેલ્લાં બે વર્ષમાં આવી સરકારી શાળાઓની સંખ્યામાં 24 ટકાનો વધારો થયો છે. શૈક્ષણિક વર્ષ 2022-23માં આવી શાળાઓની સંખ્યા 52,309 હતી, જે 2024-25માં વધીને 65,054 થઈ ગઈ છે.
સરકારે લોકસભાના સભ્યો કાર્તિ પી. ચિદમ્બરમ અને અમરિંદર સિંહ રાજા વડિંગના પ્રશ્નોના લેખિત ઉત્તરમાં જણાવ્યું કે આવી શાળાઓ હવે દેશની કુલ સરકારી શાળાઓના 6.42 ટકા જેટલી છે. તેલંગાણામાં લગભગ 2081 એવી શાળાઓ છે જ્યાં કોઈ પણ નામાંકન નથી, જ્યારે પશ્ચિમ બંગાળમાં આવી શાળાઓની સંખ્યા 1571 છે.
તેલંગાણાના નલગોંડા જિલ્લામાં રાજ્ય અને દેશમાં સૌથી વધુ 315 શૂન્ય નામાંકનવાળી શાળાઓ નોંધાઈ છે. મહબૂબાબાદમાં આવી 167 અને વારંગલમાં 135 શાળાઓ છે, જ્યાં નામાંકન શૂન્ય છે.
આ આંકડાઓ ‘યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ (UDISE+)’માંથી મેળવવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળના કોલકાતામાં 211 સરકારી શાળાઓ એવી છે જ્યાં કોઈ પણ નામાંકન નથી અને આ સંખ્યા દેશમાં બીજી સૌથી વધુ છે. પૂર્વ મેદિનીપુરમાં 177 અને દક્ષિણ દિનાજપુરમાં 147 એવી શાળાઓ છે જ્યાં નામાંકન શૂન્ય છે.
વિદ્યાર્થીઓની અછત હોવા છતાં આ સંસ્થાઓમાં મોટી સંખ્યામાં શિક્ષકો કાર્યરત છે. દેશમાં હાલમાં 1.44 લાખ શિક્ષકો એવી સરકારી શાળાઓમાં નિયુક્ત છે, જ્યાં 10થી ઓછા વિદ્યાર્થીઓ છે અથવા જ્યાં એક પણ નામાંકન નથી. શૈક્ષણિક વર્ષ 2022-23માં આ સંખ્યા 1.26 લાખ હતી.




