કોરોના સામેની લડાઈમાં કોંગ્રેસ જનતાની સાથે છેઃ સોનિયા

નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીનાં કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીએ કોરોના વાઈરસના ફેલાવાએ દેશમાં સર્જેલી કટોકટીમાં લોકોને પોતાની પાર્ટીના ટેકાની આજે ખાતરી આપી છે. એમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે દ્રઢ મનોબળ દ્વારા આપણો દેશ ટૂંક સમયમાં જ આ કટોકટી સામે વિજેતા બનશે.

કોંગ્રેસ પાર્ટીએ રિલીઝ કરેલા વિડિયો સંદેશમાં, સોનિયા ગાંધીએ દેશવાસીઓને વિનંતી કરી છે કે તેઓ લોકડાઉનના સમયગાળા દરમિયાન ઘરમાં જ રહે અને લોકડાઉનનાં નિયમોનું પાલન કરે.

સોનિયા ગાંધીએ જનતાને એવી ખાતરી પણ આપી કે કોંગ્રેસ પાર્ટી સત્તા પર હોય કે વિપક્ષમાં હોય, આ લડાઈમાં ગમે ત્યાં અમે તમારી પડખે છીએ. દરેક વ્યક્તિના ટેકા વગર કોરોના સામેની લડાઈ જીતવાનું શક્ય બની શકે નહીં.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે 10 વાગ્યે દેશવ્યાપી સંબોધન કર્યું એની થોડી જ વાર પહેલાં કોંગ્રેસ પાર્ટીએ સોનિયા ગાંધીનો આ વિડિયો સંદેશ સોશિયલ મિડિયા પર રિલીઝ કર્યો હતો.

એમણે પોતાનાં સંદેશની શરૂઆતમાં કહ્યું હતું કે દેશ આજે જ્યારે મોટી લડાઈ લડી રહ્યો છે ત્યારે દરેક કોંગ્રેસી કાર્યકર્તા પોતાની જવાબદારી સમજે છે અને આ લડાઈમાં દરેક યોદ્ધાને મદદરૂપ થવા માટે હંમેશાં તૈયાર રહેશે. કોઈ પણ વ્યક્તિ રાજ્ય સ્તરે કે કેન્દ્રીય કન્ટ્રોલ રૂમને જાણ કરીને અમારો ટેકો માગી શકે છે અને દરેક કોંગ્રેસી કાર્યકર્તા તમને ટેકો પૂરો પાડશે.