ચાલુ વર્ષે સોના, શેરબજાર કરતાં ચાંદીમાં વધુ રિટર્ન

અમદાવાદઃ ચાલુ વર્ષે 21 ઓક્ટોબર સુધી (ધનતેરસથી ધનતેરસ સુધી) રોકાણકારોને ચાંદીએ માલામાલ કર્યા છે. સોનાના 23 ટકા કરતાં ચાંદીએ વધુ 30 ટકા રિટર્ન આપ્યું છે, જ્યારે નિફ્ટીએ 20 ટકા વળતર આપ્યું છે.

આ વર્ષના નવ મહિનામાં સેન્સેક્સે 18 ટકા રિટર્ન આપ્યું હતું, જે સોના કરતાં ઓછું વળતર છે. જોકે નિફ્ટીએ જબરદસ્ત રિટર્ન આપ્યું છે. નિફ્ટી બેન્કે આ વર્ષે 11.60 ટકા વળતર આપ્યું છે. જોકે નિફ્ટી50એ ચાલુ વર્ષે 20 ટકા વળતર આપ્યું છે.

મૂડીરોકાણ માટે મોટા ભાગના લોકો સોનાને વિશ્વાસપાત્ર એસેટ માને છે, કેમ કે સંકટ સમયે એનો સરળતાથી ઉપયોગ થઈ શકે છે. સોનું પ્રતિ 10 ગ્રામ રૂ. 75,000ને પાર થઈ ચૂક્યું છે. આ વર્ષના 10 મહિનામાં સોનાએ આશરે 20 ટકા કરતાં વધુ વળતર આપ્યું છે.

મધ્ય-પૂર્વમાં ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેના ચાલતા સંઘર્ષ, ફેડ રિઝર્વે ધિરાણ નીતિ હળવી કરતાં અને ભવિષ્યમાં આપેલા વ્યાજકાપના સંકેતોને ધ્યાનમાં રાખતાં બજાર નિષ્ણાતો સોનામાં મૂડીરોકાણને પ્રાધાન્યા આપી રહ્યા છે. વધારામાં મધ્યસ્થ બેન્કો, ઊભરતાં માર્કેટ્સે જે રીતે સોનાના રિઝર્વમાં વધારો કર્યો છે, એ જોતાં સોનામાં મૂડીરોકાણને સુરક્ષિત માની રહ્યા છે.

બીજી બાજુ, અમેરિકી ફેડના વ્યાજકાપ પછી સેન્સેક્સ 85,000નો આંકડો પાર કરી ચૂક્યો છે. વિદેશી રોકાણકારો ફરી એક વાર મૂડીરોકાણ કરી રહ્યા છે. બજારના નિષ્ણાતોના જણાવ્યા મુજબ ડિસેમ્બર સુધી સેન્સેક્સ એક લાખના જાદુઈ આંકડાને પાર થવાની સંભાવના છે.