આ રાજ્યોએ કોરોના-નિયંત્રણો ઉઠાવી લીધાં છે

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના નવા કેસોની સંખ્યા સતત ઘટી રહી છે. એને પગલે કેટલાક રાજ્યોએ રોગચાળાને અંકુશમાં રાખવા માટે લાગુ કરાયેલા નિયમો-નિયંત્રણો ઉઠાવી લીધા છે. આ રાજ્યો છે – આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કશ્મીર (કેન્દ્રશાસિત પ્રદેશ). આ રાજ્યોએ રાતનો કર્ફ્યૂ ઉઠાવી લીધો છે. ઘમા રાજ્યોએ તમામ નિયંત્રણોને હળવા કરી દીધા છે.

આસામમાં રાજ્ય સરકારે તમામ કોરોના નિયંત્રણોને ઉઠાવી લીધા છે. નાઈટ કર્ફ્યૂ આજથી હટાવી લેવાશે. શાળા-કોલેજો પણ ફરી ખુલી જશે. જોકે મોઢા પર માસ્ક પહેરવાનું હજી પણ આવશ્યક રખાયું છે. બિહાર સરકારે સોમવારથી તમામ કોરોના-નિયંત્રણો દૂર કરી દીધા છે. માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા જેવા અમુક નિયમોની તકેદારી સાથે તમામ પ્રવૃત્તિઓ કરવા દેવામાં આવશે. મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત ઘણા જિલ્લાઓમાં નિયંત્રણો હળવા બનાવી દેવાયા છે. દરિયાકાંઠા, ઉદ્યાનો, બગીચાઓ એમના નિર્ધારિત સમય અનુસાર ખુલ્લા રખાય છે. રાજસ્થાનમાં ધાર્મિક સ્થળોને અગાઉની જેમ નિયમિત સમય અનુસાર ખુલ્લા રાખવાની પરવાનગી અપાઈ છે અને ભક્તોને દર્શન કરવાની છૂટ અપાઈ છે. પશ્ચિમ બંગાળમાં, આજથી તમામ ધોરણની શાળાઓને બે વર્ષ બાદ ફરી શરૂ કરવામાં આવી છે. બંગાળમાં આવતી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ પણ ઉઠાવી લેવાયો છે.