બજેટમાં સરકાર આયુષ્માન ભારતની મર્યાદા બમણી કરે એવી શક્યતા

નવી દિલ્હીઃ સરકાર આયુષ્માન ભારત આરોગ્ય વીમા યોજના વિશે આગામી ત્રણ વર્ષોમાં સારવારમાં મળતી વીમા રકમ બે ગણી કરવા પર વિચાર કરી રહી છે. એમાં 70 વર્ષથી વધુ વયના બધા લોકોને પ્રારંભમાં આ યોજનાના દાયરામાં લાવવામાં આવશે અને વીમા કવરેજને વધારીને રૂ. 10 લાખ વાર્ષિક કરવામાં આવશે.

સરકારના આ પ્રસ્તાવને મંજૂરી મળશે તો સરકારની તિજોરી પર પ્રતિ વર્ષ રૂ. 12,076 કરોડથી વધારાનો ખર્ચ આવશે. હાલ આયુષ્માન ભારત આરોગ્ય વીમા યોજનાની કવરેજ રકમની મર્યાદા રૂ. પાંચ લાખ છે.આ પ્રસ્તાવો અથવા એના કેટલાક ભાગોની ઘોષણા આ મહિનાના અંતમાં રજૂ થનારા બજેટમાં કરવામાં આવે એવી શક્યતા છે. વચગાળાના બજેટમાં  સરકારે આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) માટે ફાળવણી વધારીને રૂ. 7200 કરોડ કરી હતી. જે  12 કરોડ પરિવારોને માધ્યમિક અને તૃતીય દેખભાળ હોસ્પિટલમાં દાખલ થનારા પ્રતિ પરિવાર પ્રતિ વર્ષ રૂ. 10 લાખનું આરોગ્યનું કવર પ્રદાન કરે છે, જ્યારે આયુષ્માન ભારત આરોગ્ય ભારત મિશન માટે રૂ. 646 કરોડની ફાળવણી કરવામાં આવી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના અધિવેશનને સંબોધિત કરતાં કહ્યું હતું કે 70 વર્ષથી વધુ વયના બધા સિનિયર સિટિજન્સને પણ હવે આયુષ્માન ભારત યોજના હેઠળ કવર કરવામાં આવશે, જેથી તેમને મફત યોજનાનો લાભ મળશે. આ યોજનામાં 70 વર્ષથી વધુ વયના લોકોએ મળીને આશરે 4-5 કરોડ ઔર લાભાર્થી સામેલ છે.

આયુષ્માન ભારત-PMJAY માટે રૂ. પાંચ લાખની મર્યાદા વર્ષ 2018માં નક્કી કરવામાં આવી હતી. હવે, મોંઘવારી અને ટ્રાન્સપ્લાન્ટ સહિતની અન્ય મોંઘી સારવારના કિસ્સામાં પરિવારોને રાહત આપવાના ઉદ્દેશથી આ યોજના હેઠળ ઉપલબ્ધ કવરેજ મર્યાદાને બમણી કરવાની વિચારણા કરવામાં આવી રહી છે.