DGCAએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ 31 માર્ચ સુધી લંબાવ્યો

નવી દિલ્હીઃ દેશ-વિદેશમાં કોરોનાના વધતા કેસને જોતાં એવિયેશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)એ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો પરનો પ્રતિબંધ 31 માર્ચ સુધી વધારી દીધો છે. દેશમાં કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખતાં ગયા વર્ષે 23 માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના સંચાલન પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પહેલાં આ પ્રતિબંધ 28 ફેબ્રુઆરી સુધી લાગુ હતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ઝડપી વધારો થયાં DGCAએ એને એક મહિના માટે વધારવાનો નિર્ણય લીધો હતો.

DGCAએ શુક્રવારે મોડી સાંજે આ વિશે દિશા-નિર્દેશ જારી કર્યા હતા. આ નિર્દેશો અનુસાર ભારતથી અને ભારત માટે અનુસૂચિત યાત્રાઓને 31 માર્ચ, 2021 રાતે 11.59 મિનિટ સુધી સ્થગિત કરવામાં આવી હતી.

જોકે DGCAએ કહ્યું હતું કે વિશેષ પરિસ્થિતિઓમાં પસંદગીના માર્ગો પર ફ્લાઇટ્સને મંજૂરી આપવામાં આવશે. કોરોના રોગચાળાને કારણે ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.