સ્વાતિ માલીવાલે નવાં CM આતિશી પર લગાવ્યા ગંભીર આરોપ

નવી દિલ્હીઃ દિલ્હીના નવાં CM બનવા જઈ રહેલાં આતિશી પર તેમની જ પાર્ટીના રાજ્યસભાનાં સાંસદ સ્વાતિ માલીવાલે નિશાન સાધતાં કહ્યું હતું કે દિલ્હી માટે આ જે બહુ દુખદ દિવસ છે.  ભગવાન દિલ્હીની રક્ષા કરે. તેમણે આતિશીને ડમી CM ગણાવ્યાં હતાં.

સ્વાતિએ સોશિયલ મિડિયા હેન્ડલ X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે દિલ્હીના CM એક એવી મહિલાને બનાવવામાં આવી રહ્યાં છે, જેમના પરિવારે આતંકવાદી અફઝલ ગુરુને ફાંસીથી બચાવવા માટે લાંબી લડાઈ લડી હતી. તેમનાં માતાપિતાએ આતંકવાદી અફઝલ ગુરુને બચાવવા માટે રાષ્ટ્રપતિને દયા અરજી લખી હતી. તેમના હિસાબે અફઝલ ગુરુ નિર્દોષ હતો અને તેને રાજકીય ષડયંત્ર હેઠળ ફસાવવામાં આવ્યો હતો. આમ તો આતિશી માર્લેના માત્ર ડમી CM છે, તેમ છતાં આ મુદ્દો દેશની સુરક્ષા સાથે જોડાયેલો છે.

આતિશી અને સ્વાતિ માલીવાલની વચ્ચેનો આ શાબ્દિક જંગનો આ પહેલો મામલો નથી. આ પહેલાં સ્વાતિ માલીવાલે જ્યારે CM હાઉસમાં તેમના ભૂતપૂર્વ PA બિભવ રાય તરફથી મારપીટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, ત્યારે આતિશીએ સ્વાતિ પર હુમલો કર્યો હતો. આતિશીએ દાવો કર્યો હતો કે સાંસદ સ્વાતિ માલીવાલ ગેરકાયદે ભરતી મામલે આરોપોનો સામનો કરી રહી છે. તેમના પર ધરપકડની તલવાર લટકી રહી છે. એને કારણે તેમને ભાજપે બ્લેકમેલ કરીને CM કેજરીવાલ વિરુદ્ધ કાવતરાનો ભાગ બનાવ્યો છે. આતિશીએ આરોપ લગાવ્યો હતો કે માલીવાલ મુલાકાતનો સમય લીધા વિના CMના સત્તાવાર નિવાસસ્થાને પહોંચી હતી.

બીજી બાજુ, આપના રાજ્યસભાનાં સાંસદ સ્વાતિ માલીવાલના આતિશી પર કરવામાં આવેલા ટ્વીટ પર આપ નેતા દિલીપ પાંડેએ કહ્યું હતું કે સ્વાતિ એવી વ્યક્તિ છે, જે રાજ્યસભાની ટિકિટ તો આપ પાર્ટીથી લે છે, પણ પ્રતિક્રિયા આપવા માટે ભાજપ પાસેથી સ્ક્રિપ્ટ લે છે.