બાબા રામદેવ, બાલકૃષ્ણનને કોર્ટમાં હાજર થવા ‘સુપ્રીમ’ ફરમાન

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણ અને યોગ ગુરુ રામદેવને હાજર થવા ફરમાન કર્યું છે. કોર્ટે સુનાવણી કરતાં આકરું વલણ અપનાવતાં બાબા રામદેવને સવાલ કર્યો હતો કે કોર્ટની અવગણના કરવા બદલ કાર્યવાહી કેમ ના કરવામાં આવે? કોર્ટે કહ્યું હતું કે પહેલી નજરમાં બંનેએ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. આ મામલે હવે આગામી સુનાવણી બે સપ્તાહ પછી થશે.

કોર્ટે આ આદેશ પતંજલિ આયુર્વેદની કથિત ભ્રામક જાહેરાતને લઈને જારી કર્યો છે. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની ખંડપીઠે કંપની અને તેના MD આચાર્ય બાલકૃષ્ણને કારણ બતાવો તિરસ્કારની નોટિસ જારી કરીને કહ્યું હતું કે દેશઆખા સાથે છેતરપિંડી થઈ રહી છે. વાસ્તવમાં, સર્વોચ્ચ અદાલતે અગાઉ પતંજલિ આયુર્વેદને ઔષધીય સારવાર વિશે ભ્રામક જાહેરાતો પ્રકાશિત કરવાનું ચાલુ રાખવા બદલ તિરસ્કારની નોટિસ જારી કરી હતી. મંગળવારે આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આ આદેશ આપ્યો છે.

જસ્ટિસ અમાનુલ્લાએ કંપનીના વકીલને કહ્યું હતું કે હું પ્રિન્ટઆઉટ લાવ્યો છું.” અમે આજે ખૂબ જ કડક આદેશો પસાર કરવા જઈ રહ્યા છીએ. આ મારફતે જાઓ. તમે કેવી રીતે કહી શકો કે તમે ઠીક કરશો? અમારી ચેતવણીઓ છતાં, તમે કહો છો કે અમારી પ્રોડક્ટ્સ ચેઇન કેમિકલ આધારિત દવાઓ કરતાં વધુ સારી છે? કોર્ટે ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને તેના પર પ્રતિબંધ મૂકવા માટે ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ (વાંધાજનક જાહેરાત) એક્ટ હેઠળ પગલાં લેવા માટે બે વર્ષનો સમય આપ્યો હતો.

શું છે મામલો?

ઈન્ડિયન મેડિકલ એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે પતંજલિ આયુર્વેદની જાહેરાતો ખોટા દાવા અને ગેરમાર્ગે દોરનારી છે. આ કેસની સુનાવણીમાં કોર્ટે નોટિસ જારી કરી ત્રણ સપ્તાહમાં જવાબ માગ્યો હતો. કોઈ જવાબ ન મળતાં આ વખતે કોર્ટે અંગત હાજરી અને તિરસ્કારની નોટિસ પણ આપી હતી.