ગાંધીનગરમાં ચૂંટણી લક્ષી ફરિયાદો માટે કંટ્રોલરૂમ શરૂ કરાયો

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટણી સમય દરમિયાન રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ ધ્યાનમાં રાખવાના વિવિધ વિષયો અંગે ચર્ચા કરી જરૂરી બાબતો અંગે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને અવગત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત ગાંધીનગર સચિવાલયમાં ચૂંટણી સંબંધિત ફરિયાદો માટેનો કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. આગામી સાતમી મેના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણીઓ યોજાનાર છે.

રાજકીય પક્ષના પ્રતિનિધિઓને માહિતીગાર કર્યા

આગામી 12મી એપ્રિલ 2024ના રોજ ત્રીજા તબક્કામાં ગુજરાતની લોકસભા બેઠકો માટે તેમજ વિધાનસભાની 05 બેઠકો માટે પેટાચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવનાર છે ત્યારે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી આ બેઠકમાં મુક્ત, ન્યાયી અને પારદર્શી ચૂંટણીઓ યોજવા આવશ્યક બાબતો અંગે દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા. અધિક મુખ્ય નિર્વાચન અધિકારી કુલદીપ આર્યએ ચૂંટણી સમયગાળા દરમિયાન આદર્શ આચારસંહિતાના અમલીકરણ, ખર્ચ નિરિક્ષણ, ઉમેદવારી પત્રો અને ચૂંટણી પ્રચાર સહિતની બાબતો તથા વિવિધ પરવાનગીઓ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી IT ઍપ્લિકેશન્સ અંગે રાજકીય પક્ષના પ્રતિનિધિઓને માહિતીગાર કર્યા હતા.

EVM, હોમ વોટીંગ અને પોસ્ટલ બેલેટ અંગે જાણકારી આપી

સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી એ.બી. પટેલ દ્વારા ક્રિમીનલ એન્ટીસિડનટ્સ દ્વારા જાહેર કરવાની માહિતી અંગેના વિવિધ ફોર્મેટ બાબતે, મતદાર યાદી, મતદાન મથકો અને પોલીંગ સ્ટાફ, EVM, હોમ વોટીંગ અને પોસ્ટલ બેલેટ અંગે વિગતવાર જાણકારી આપી હતી. જ્યારે સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી પી.ડી. પલસાણા દ્વારા વિવિધ માધ્યમોમાં પ્રચાર-પ્રસાર માટે રાજકીય જાહેરાતોના પૂર્વ-પ્રમાણિકરણ અને પેઈડ ન્યૂઝ અંગે નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ અને ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.