હિંસા ફેલાવનારા સામે કડક કાર્યવાહી થશેઃ મમતા બેનરજી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ તૃણમૂલ કોંગ્રેસનાં સુપ્રીમો મમતા બેનરજીએ સતત ત્રીજી વાર રાજ્યની મુખ્ય પ્રધાન તરીકે બુધવારે શપથ લીધા હતા.  રાજભવનમાં શપથ લીધા પછી મમતાએ પહેલા સંબોધનમાં રાજ્યમાં જારી હિંસા સામે કડક સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે હિંસા ફેલાવનારા લોકો સામે કડક હાથે કામ લેવામાં આવશે. હિંસાની ઘટનાઓને તેઓ બરદાસ્ત નહીં કરે, એમ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું.

મમતા બેનરજીએ બાંગ્લા ભાષામાં શપથ લીધા. પાર્થ ચેટરજી અને સુબ્રતો મુખરજી જેવા TMCના નેતાઓ ઉપરાંત TMCની જીતમાં અગત્યની ભૂમિકા નિભાવનારા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર અને મમતા દીદીના ભત્રીજા અભિષેક બેનર્જી આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. મમતા બેનરજીએ કહ્યું હતું કે પદ સંભાળ્યા બાદ તેમની પ્રાથમિકતા કોવિડ-19 સ્થિતિનો સામનો કરવાની છે. મમતા બેનર્જીએ શપથ લીધા બાદ તરત તમામ રાજકીય પાર્ટીઓને શાંતિ સુનિશ્ચિત કરવાની અપીલ કરી.

બીજી તરફ રાજ્યપાલ જગદીપ ધનખડે કહ્યું હતું કે હું મમતાજીને તેમના ત્રીજા કાર્યકાળ માટે શુભેચ્છાઓ આપું છું. અમારી પ્રાથમિકતા એ છે કે અમારે આ હિંસાનો અંત લાવવો જોઈએ, જેણે મોટા પાયે સમાજને પ્રભાવિત કર્યો છે. મને પૂરી આશા છે કે મુખ્ય પ્રધાન તાત્કાલિક કાયદાના શાસનને બહાલ કરવા માટે તમામ પગલાં ભરશે.

મુખ્ય પ્રધાન મમતા બેનરજી આ વખતે નંદીગ્રામથી પોતાના જૂના સહયોગી અને ભાજપ ઉમેદવાર સુવેન્દુ અધિકારીની સામે ચૂંટણી હારી ગયાં હતાં હવે છ મહિનાની અંદર તેમણે રાજ્યની કોઈ પણ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતવી પડશે. જો આવું નહીં થાય તો તેમણે મુખ્ય પ્રધાનનું પદ છોડવું પડશે.