‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ-2021’ માટે રજનીકાંતની પસંદગી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે 51મા ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’ માટે દક્ષિણી ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતની પસંદગી કરી છે. કેન્દ્રીય માહિતી-પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે આજે આ જાહેરાત કરી હતી. એ સાથે જ રજનીકાંત પર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. ઉપ-રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને એમને અભિનંદન આપ્યા છે. રજનીકાંતને 2000માં ‘પદ્મભૂષણ’ અને 2016માં ‘પદ્મવિભૂષણ’ એવોર્ડ આપવામાં આવ્યો હતો. એમના પ્રશંસકોમાં રજનીકાંત ‘થલાઈવાર’ અથવા લીડર તરીકે જાણીતા છે.

‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’ ભારતીય સિનેમા ક્ષેત્રનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ગણાય છે. આ એવોર્ડ દર વર્ષે આપવામાં આવે છે. પહેલો એવોર્ડ અભિનેત્રી દેવિકા રાનીને આપવામાં આવ્યો હતો. રાજકપૂર, અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના, પ્રાણ, મનોજ કુમાર, ગુલઝાર, શશી કપૂર જેવા નામાંકિતોને પણ આ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી ચૂક્યા છે.