મોદીએ વારાણસીમાં ‘કાશી વિશ્વનાથ ધામ’નું લોકાર્પણ કર્યું

વારાણસીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં કાશી વિશ્વનાથ ધામ મંદિરના પ્રથમ ચરણનું ઉદઘાટન કર્યું હતું. આ ધામનું બાંધકામ આશરે રૂ. 339 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ‘હર હર મહાદેવ’ના નારાઓથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, કાશી આપણા આધ્યાત્મિક આત્માનું પ્રતીક છે. તે ભારતના પ્રાચીનકાળ, પરંપરાઓ, ભારતની ઊર્જા, ગતિશીલતાનું પ્રતીક છે. આ ધામ આપણા સામર્થ્ય, આપણા કર્તવ્યનું સાક્ષી છે. કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ ભારતને એક નિર્ણાયક દિશા આપશે, એક ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જશે.

આપણા પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે જે કોઈ વ્યક્તિ કાશીમાં પ્રવેશ કરે એ સાથે જ તે તમામ બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. ભગવાન વિશ્વેશ્વરના આશીર્વાદ, એક અલૌકિક ઊર્જા અહીં આવતાં જ આપણા અંતર-આત્માને જાગૃત કરી દે છે. આ સંકુલમાં તમે દર્શન કરશો એટલું જ નહીં, આપણા અતીતના ગૌરવનો અનુભવ પણ કરશો. પ્રાચીનતા અને નવીનતા એક સાથે સજીવ થઈ રહી છે. પુરાતનની પ્રેરણાઓ ભવિષ્યને દિશા પ્રદાન કરે છે. વિશ્વનાથ ધામ ભારતની સનાતન સંસ્કૃતિનું પ્રતીક છે. પહેલાં અહીંયા જે મંદિર માત્ર 3,000 વર્ગ ફીટમાં હતું તે હવે આશરે પાંચ લાખ વર્ગ ફીટનું થઈ ગયું છે. હવે મંદિર અને મંદિર પરિસરમાં 50,000થી 75,000 જેટલા શ્રદ્ધાળુઓ આવી શકે છે. મતલબ કે પહેલાં માં ગંગાનાં દર્શન-સ્નાન અને પછી ત્યાંથી સીધા વિશ્વનાથ ધામ.