PM મોદીએ ‘નવરાત્રિ’ પર બધાના જીવનમાં સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રિના પ્રથમ દિવસે શુભકામનાઓ આપી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ તહેવાર બધાના જીવનમાં શક્તિ, સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લઈને આવે. તેમણે ટ્વીટ કરીને બધાને નવરાત્રિની શુભકામનાઓ આપી હતી. આવનારા દિવસો જગત જનની માની પૂજામાં શ્રદ્ધાળુઓ લીન થવાના છે.

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે નવરાત્રિનો પ્રારંભ પ્રથમ દિવસે મા શૈલપુત્રીના પૂજનની સાથે થાય છે. શૈલપુત્રીનો અર્થ પહાડોની પુત્રી અને દુર્ગાના નવ રૂપોમાંની એક, જેને નવરાત્રિના પહેલા દિવસે પૂજવામાં આવે છે. આ પહેલાં કળશની સ્થાપના કરવામાં આવી છે. વડા પ્રધાને ટ્વિટર પર માતા શૈલપુત્રીને સમર્પિત એક સ્તુતિ પણ શેર કરી હતી.

નવરાત્રિના તહેવારના પ્રથમ દિવસે દેશભરમાં માતાના મંદિર ઝળહળી ઊઠ્યા હતા. જોકે હાલ કોરોનાને લીધે કેટલીક સખતાઈ અને પ્રતિબંધો છે. આ સતત બીજુ વર્ષ છે, જ્યારે નવરાત્રિનો તહેવાર કોરોના રોગચાળામાં ઊજવવામાં આવી રહ્યો છે.

રાજ્યમાં કોરોના માટેના દિશા-નિર્દેશો જારી કરવામાં આવ્યા છે. જે હેઠળ શેરી-ગરબા અને સોસાયટીઓમાં ગરબાની મંજૂરી આપવામાં આવી છે, પણ એમાં 400 લોકોને આવવાની મંજૂરી છે. વળી, ગરબામાં એ જ લોકો આવી શકે છે, જેમને રસીના બંને ડોઝ લાગેલા હોય.

આ સાથે વડા પ્રધાન મોદીએ સાત ઓક્ટોબર, 2021એ જાહેર જીવનમાં 20 વર્ષ પૂરાં કરી લીધાં છે. આ 20 વર્ષોમાં તેઓ 12 વર્ષથી વધુ ગુજરાતના મુખ્ય પ્રધાન અને હાલ સાત વર્ષોથી વધુ સમય દેશના વડા પ્રધાન છે. આ સમયગાળામાં તેઓ એક પણ ચૂંટણી નથી હાર્યા.