કુલભૂષણ જાધવ માટે વકીલ નિયુક્ત-કરવા પાકિસ્તાને કહ્યું

ઈસ્લામાબાદ/નવી દિલ્હીઃ પાકિસ્તાનની હાઈકોર્ટે મૃત્યુદંડની સજા પામેલા ભારતીય કેદી કુલભૂષણ જાધવ માટે એક વકીલની નિમણૂક આવતી 13 એપ્રિલ સુધીમાં કરવાનું ભારત સરકારને જણાવ્યું છે. જાધવ પોતાની પર મૂકાયેલા અપરાધ અને ફરમાવાયેલી સજા વિશે ફેરવિચારણા કરાવવા માટે પાકિસ્તાનની લશ્કરી અદાલતમાં દલીલ કરી શકે એ માટે તેને માટે વકીલની નિમણૂક કરવાની રહેશે.

51 વર્ષીય જાધવ ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારી છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના અધિકારીઓએ 2016ની 3 માર્ચે બલુચિસ્તાનમાં જાધવની ધરપકડ કરી હતી. તેમણે એવો આરોપ મૂક્યો હતો કે જાધવ પાકિસ્તાનમાં જાસૂસી કરતા હતા. પાકિસ્તાનની મિલિટરી કોર્ટે 2017ના એપ્રિલમાં જાધવને પાકિસ્તાનમાં જાસૂસી કરવા અને ત્રાસવાદી પ્રવૃત્તિ કરવા બદલ અપરાધી જાહેર કર્યા હતા અને એમને મૃત્યુદંડની સજા ફરમાવી હતી. ભારતે એ ચુકાદાને તરત જ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં પડકાર્યો હતો. તે કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ 2019ના જુલાઈમાં ચુકાદો આપ્યો હતો કે જાધવનો સંપર્ક કરવાની પાકિસ્તાન સરકારે ભારત સરકારને પરવાનગી આપવી પડશે અને જાધવના અપરાધ મામલે ફેરવિચારણા પણ કરવી પડશે.

ઈસ્લામાબાદ હાઈકોર્ટ ભારતને સતત કહેતી રહી છે કે તે જાધવ માટે પાકિસ્તાનમાંથી કોઈ વકીલની નિમણૂક કરે, પણ ભારત સરકારે એવો આગ્રહ રાખ્યો છે કે વકીલ ભારતીય હોવા જોઈએ. ઈસ્લામાબાદ હાઈકોર્ટ ફરી એકવાર ભારતને કહ્યું છે કે તે 13 એપ્રિલ સુધીમાં જાધવ માટે વકીલની નિમણૂક કરે.