મોદી સરકારની રૂ. બે કરોડ સુધીના લોનધારકોને દશેરા ગિફ્ટ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લોનધારકોને મોટી રાહત આપી છે. મોદી સરકારે લોન મોરિટોરિયમના સમયગાળા દરમ્યાન EMI પર વ્યાજમાફીની ગાઇડલાઇન્સ જારી કરી છે. કેન્દ્ર સરકારે એક માર્ચ, 2020થી 31 ઓગસ્ટ,2020 દરમ્યાન રૂ. બે કરોડ સુધીની લોન પર છ મહિનાના સમયગાળા માટે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાધારણ વ્યાજની વચ્ચેના અંતરની કોમ્પેશનસેશન રકમ તરીકે લોનધારકોને ચુકવણીથી સંબંધિત ગાઇડલાઇન્સને મંજૂરી આપી દીધી છે.

આનો અર્થ એ થયો કે લોન મોરેટોરિયમમાં માસિક હપતો નથી ચૂકવ્યો તો હવે તમારે તમારા વ્યાજ પર પેનલ્ટી નહીં ચૂકવવી પડે.આ લાભ પાત્રતા માપદંડ અનુસાર લોન આપતી સંસ્થાઓના માધ્યમથી પ્રાપ્ત થશે. આ યોજના અંતર્ગત રૂ. બે કરોડ સુધી MSME માટેની લોન, હોમ લોન, એજ્યુકેશન લોન, ક્રેડિટ કાર્ડનાં બાકી લેણા, ઓટો લોન, કન્ઝ્યુમર લોન, પર્સનલ લોન સામેલ છે.

સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

નાણાં મંત્રાલયની આ ગાઇડલાઇન્સ સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને આપેલા નિર્દેશ પછી આવી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નિર્દેશ આપ્યો હતો કે એ કોરોના રોગચાળા દરમ્યાન રિઝર્વ બેન્ક દ્વારા લાવવામાં આવેલી મોરેટોરિયમ યોજના હેઠળ રૂ. બે કરોડ સુધીની લોન પર વ્યાજમાફી યોજના લાગુ કરે.

કેન્દ્ર દ્વારા જે દિશા-નિર્દેશોને મંજૂરી આપવામાં આવી છે. એ અનુસાર નાણાસંસ્થા અને બેન્કના લોનધારકોના લોન એકાઉન્ટમાં મોરિટોરિયમ સમયગાળા દરમ્યાન ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાધારણ વ્યાજની વચ્ચે અંતરની રકમ જમા કરશે. આનો લાભ લોનધારકોને મળશે, જેમણે રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલી મોરિટોરિયમ યોજનાનો આંશિક અથવા પૂર્ણ લાભ લીધો છે.

 

સરકારના આ દિશા-નિર્દેશોને મંજૂરી મળ્યા પછી હવે બેન્ક અને નાણાંસંસ્થાઓ સંબંધિત લોનધારકોના લોન એકાઉન્ટમાં નાણાં જમા કરશે અને કેન્દ્ર સરકારથી એની જેતે રકમ પ્રાપ્ત કરશે. આ યોજનાને કારણે સરકાર ખજાના પર રૂ. 6500 કરોડનો બોજ પડવાની શક્યતા છે.