મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધ્યાઃ ફરી લોકડાઉનના ભણકારા

મુંબઈઃ કોરોના વાઈરસના નવા કેસની સંખ્યામાં 42 દિવસ સુધી ઘટાડો નોંધાવ્યા બાદ મહારાષ્ટ્ર રાજ્યમાં આ રોગચાળાના નવા કેસ નોંધાયા છે અને એ સાથે જ દેશમાં કોરોનાગ્રસ્ત રાજ્યોની યાદીમાં મહારાષ્ટ્ર ફરી ટોપ પર આવી ગયું છે. કેરળ બીજા સ્થાને ઉતરી ગયું છે. સત્તાવાળાઓને દહેશત છે કે ચેપનું નવું મોજું ફરી વળશે. મહારાષ્ટ્રમાં ગઈ કાલે કોરોનાના નવા 3,365 કેસ નોંધાયા હતા. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું છે કે જો કેસ વધવાનું ચાલુ રહેશે તો મુખ્ય પ્રધાન સાથે ચર્ચા કર્યા બાદ અમારે કડક પગલું ભરવું પડશે. લોકો માસ્ક પહેરતા નથી. આ પરિસ્થિતિ ઘણી ગંભીર છે. એને કારણે આપણે આકરી કિંમત ચૂકવવી પડશે.

દરમિયાન, અકોલા જિલ્લામાં કોરોનાના કેસ વધી જતાં જિલ્લા અધિકારીએ સમગ્ર જિલ્લામાં કર્ફ્યૂ લાગુ કરવાનો આદેશ આપી દીધો છે. અનલોક કર્યા બાદ ફરી કર્ફ્યૂ લાગુ કરનાર મહારાષ્ટ્ર રાજ્યમાં આ બીજો જિલ્લો બન્યો છે. આ પહેલાં અમરાવતી જિલ્લામાં કર્ફ્યૂનો આદેશ અપાયો હતો.