રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી સૂર્યદેવ આકરી અગનજ્વાળાઓ ઓકી રહ્યા હતા. નૌતપાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું, પરંતુ શનિવારે દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ અને ગાઝિયાબાદના લોકોને આ કાળઝાળ ગરમીમાંથી અચાનક ખૂબ જ મોટી રાહત મળી છે. બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં કાળાડિબંગ વાદળો ઘેરાઈ આવ્યા હતા. આ અણધાર્યા વાવાઝોડા અને વરસાદની તીવ્રતાને જોતા ભારત સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા નાગરિકોને સુરક્ષિત રહેવા માટે સીધા જ મોબાઈલ સ્ક્રીન પર ફ્લેશ થતું ઇમરજન્સી એલર્ટ મોકલવામાં આવ્યું હતું, જેનાથી એકસાથે લાખો લોકોના ફોન સાયરનની જેમ રણકી ઉઠ્યા હતા.

ઇમરજન્સી મેસેજમાં શું ચેતવણી આપવામાં આવી?
શનિવારે દિલ્હી-NCR ના રહેવાસીઓના મોબાઈલ ફોન પર અચાનક આવેલા આ સરકારી ઇમરજન્સી એલર્ટે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ હાઈ-પ્રાયોરિટી મેસેજમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે આગામી 3 કલાક દરમિયાન દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે વીજળીના કડાકા-ભડાકા સાથે આશરે 60 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે ધૂળભરી આંધી અને તીવ્ર પવન ફૂંકાઈ શકે છે. એટલું જ નહીં, પવનની મહત્તમ સ્પીડ કલાકે 90 કિલોમીટર સુધી પણ પહોંચવાની આશંકા છે. આ એલર્ટમાં સામાન્ય લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવાની સાથે જ મધ્યમથી તીવ્ર વરસાદ અને કેટલાક વિસ્તારોમાં મોટા પાયે કરા (Oले) પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી હતી.
છેલ્લા એક અઠવાડિયાથી દિલ્હી અને આસપાસના શહેરો ભયંકર હીટવેવ (લૂ) ની ચપેટમાં હતા. પારો સતત ઉપર ચઢી રહ્યો હતો અને ગણતરીના દિવસોમાં જ તાપમાન રેકોર્ડબ્રેક 44 થી 46 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયું હતું. બપોરના સમયે રસ્તાઓ સુમસામ થઈ જતા હતા. આવી સ્થિતિ વચ્ચે શુક્રવાર સાંજથી શરૂ થયેલી હલચલ બાદ શનિવારે હવામાને સપૂર્ણ પલટો માર્યો હતો. જોરદાર પવન અને ધૂળની ડમરીઓ બાદ શરૂ થયેલા વરસાદના કારણે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે અને તાપમાનનો પારો ઝડપથી નીચે ગગડી ગયો છે, જેનાથી ત્રાહિમામ પોકારી ઉઠેલી જનતાએ રાહતનો શ્વાસ લીધો છે.



