લિકર કેસઃ CM કેજરીવાલે જામીન માટે ‘સુપ્રીમ’ દ્વાર ખટખટાવ્યાં

નવી દિલ્હીઃ દિલ્હીના CM કેજરીવાલને લિકર કેસમાં CBIની ધરપકડને રદ કરવા માટે હાઇકોર્ટે ઇનકાર કર્યા પછી આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે. કેજરીવાલે જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. CM કેજરીવાલે ધરપકડને અને રિમાન્ડ આદેશોને પડકાર આપતાં સુપ્રીમ કોર્ટમાં જામીન માગ્યા છે. તેમણે દિલ્હી હાઇકોર્ટના પાંચ ઓગસ્ટના ચુકાદા પર સવાલ ઉઠાવ્યા છે, જેમાં તેમણે ધરપકડને કાયયદેસર ના હોવાની અને ના ઉચિત આધાર હોવાની વાત કહી છે, કેમ કે CBIએ તેમની ધરપકડ અને રિમાન્ડને યોગ્ય ઠેરવવા માટે પર્યાપ્ત પુરાવા રજૂ કર્યા હતા.

હાઇકોર્ટે પાંચ ઓગસ્ટે CM કેજરીવાલની અરજી ફગાવી હતી, જેમાં લિકર કેસમાં ભ્રષ્ટાચાર કેસમાં CBI દ્વારા ધરપકડને પડકાર ફેંક્યો હતો. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની ખંડપીઠે CM કેજરીવાલને કહ્યું હતું કે તેઓ વચગાળાના જામીન માટે ટ્રાયલ કોર્ટનાં દ્વાર ખટખટાવે. EDએ મની લોન્ડરિંગ મામલે પહેલેથી જ ચાર્જશીટ દાખલ કરી દીધી છે, જેમાં આમ આદમી પાર્ટી અને રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલને આરોપી બનાવવામાં આવ્યા છે.

દિલ્હીની કોર્ટે CBI મામલે CM કેજરીવાલની ન્યાયિક હિરાસત નવ ઓગસ્ટ સુધી અને મની લોન્ડરિંગ મામલે 13 ઓગસ્ટ સુધી વધારી દીધી હતી. કેજરીવાલ 115 દિવસોથી દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે.

EDએ 21 માર્ચે દિલ્હી લિકર પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. આ પછી 26 જૂનએ CBIએ તેમને આ જ કેસમાં પોતાની કસ્ટડીમાં લીધો હતો. કેન્દ્રીય તપાસ એજન્સીઓ અનુસાર લિકરના વેપારીઓને અયોગ્ય લાભ આપવા માટે તેમની પાસેથી લાંચ લેવામાં આવી હતી. દિલ્હી સરકાર અને આમ આદમી પાર્ટી આ દાવાઓને વારંવાર ફગાવી રહી છે.