ત્રણ-ચાર મહિનામાં કોરોના-રસી આવી જશેઃ ડો.હર્ષવર્ધનને વિશ્વાસ

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ ખાતાના પ્રધાન ડો. હર્ષવર્ધને આજે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કોવિડ-19 રસી આવતા ત્રણ-ચાર મહિનામાં તૈયાર થઈ જશે. એમણે એમ પણ કહ્યું કે દેશના તમામ 135 કરોડ નાગરિકોને આ રસી પૂરી પાડવામાં આવશે અને વૈજ્ઞાનિક મૂલ્યાંકનના આધારે રસી આપવામાં પ્રાધાન્ય નક્કી કરવામાં આવશે.

કોરોના વાઈરસ અંગે FICCI FLO દ્વારા આયોજિત એક વેબિનારમાં સંબોધન કરતી વખતે ડો. હર્ષવર્ધને કહ્યું હતું કે આરોગ્ય ક્ષેત્રના કર્મચારીઓ અને કોરોના યોદ્ધાઓને રસી પહેલા આપવામાં આવશે. ત્યારબાદ મોટી ઉંમરવાળા લોકોને તથા રોગના શિકાર બનવાનું જોખમ વધારે હોય એવા લોકોને આપવામાં આવશે રસીકરણ માટે વિસ્તૃત આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ બાબતમાં બ્લુપ્રિન્ટ તૈયાર કરવા વિશે ચર્ચા કરવા એક ઈ-વેક્સિન ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મની રચના પણ કરવામાં આવી છે. એવી આશા છે કે 2021નું વર્ષ આપણા સહુના માટે વધારે સારું બની રહેવું જોઈએ.

ડો. હર્ષવર્ધને વધુમાં કહ્યું કે આવતા વર્ષના જુલાઈ-ઓગસ્ટ સુધીમાં 25-30 કરોડ લોકો માટે કોરોના વેક્સિનના 40-50 કરોડ ડોઝ ઉપલબ્ધ કરવામાં આવશે. આપણા વિજ્ઞાનીઓ કોરોના રસીને વિક્સાવવાના સંશોધનમાં અન્ય કરતાં ઘણા આગળ છે. આવતા બે મહિનામાં તો આપણી પાસે રસી આવી જશે એવો અમને વિશ્વાસ છે.