એટીએમ કેશ-વેન લૂંટઃ 3ની ધરપકડ, 4.25 કરોડ પાછા મેળવાયા

મુંબઈઃ પડોશના પાલઘર જિલ્લા-શહેરમાં એક એટીએમ મશીનમાં રીફિલ કરવા માટેની આશરે રૂ. 4.25 કરોડની રકમની લૂંટના સંબંધમાં પોલીસે ત્રણ જણની ધરપકડ કરી છે. આમાં કેશ વેનના ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે. પકડાયેલાઓના નામ છે – રોહિત આરુ, અક્ષય પ્રભાકર મોહતે અને ચંદ્રકાંત ગુલાબ ગાયકવાડ.

પાલઘરના એક એટીએમ મશીનમાં રીફિલ કરવા માટેના રૂપિયા 4 કરોડ 25 લાખની રોકડ સાથેની કેશ વેન સાથે ડ્રાઈવર ગઈ 12 નવેમ્બરે ફરાર થઈ ગયો હતો. ફરિયાદ નોંધાવાયા બાદ પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરાઈ હતી અને ચાંપતું પેટ્રોલિંગ શરૂ કરાયું હતું. તે વેન ગઈ કાલે સવારે લાવારિસ હાલતમાં મળી આવી હતી. વેનમાંથી રૂ. 2.33 કરોડ મળી આવ્યા હતા જ્યારે બાકીના રૂ. 1.88 કરોડ આરોપી ડ્રાઈવરની ધરપકડ બાદ જપ્ત કરાયા હતા.

ડ્રાઈવરને આ ગુનામાં સાથ આપનાર એના બે મિત્રની પણ ધરપકડ કરાઈ છે. સિક્યુરિટી કંપની પાસેથી ડ્રાઈવર વિશેની માહિતી મેળવ્યા બાદ પોલીસે વધુ તપાસ આદરી હતી અને એના એક મિત્રની પૂછપરછ કરી હતી. ડ્રાઈવર એના એક મિત્રના ઘરમાં રહેતો હતો. પોલીસે ત્યાં જઈ એને પકડી લીધો હતો.