રાજૌરીમાં ગોળીબાર પછી IED ધડાકોઃ પાંચનાં મોત

રાજૌરીઃ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલામાં મૃતકોની સંખ્યા ચાર થઈ છે. ત્યાર બાદ એક IED ધડાકો પણ થયો છે અને આ ધડાકામાં એક બાળકનું મોત થયું છે અને પાંચ ઘાયલ થયા છે. એક ઘાયલ નાગરિકનું હોસ્પિટલમાં મોત થયું છે. અન્ય નવ ઇજાગ્રસ્તોની સારવાર થઈ રહી છે. રાજૌરીની સરકારી મેડિકલ કોલેજના ડોક્ટરોએ કહ્યું હતું કે તેમનામાંથી કેટલાક હાલત હજી પણ બહુ ગંભીર છે. ગંભીર રૂપે ઘાયલોમાંથી કેટલાકને જમ્મુ લઈ જવામાં આવ્યા છે. આ ઘટના ગઈ કાલે સાંજે ડાંગરી ગામમાં થઈ હતી.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે બે સશસ્ત્ર  આંતકવાદીઓ ત્રણ ઘરોમાં ઘૂસ્યા હતા અને તેમણે અંધાધૂંધ ગોળીઓ ચલાવી હતી. આતંકવાદીઓને પકડવા માટે તપાસ ઝુંબેશ જારી છે. કોલેજના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. મહમૂદ એચ. બજરે ચાર લોકનાં મોતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે ઘાયલોમાંથી બેને સારી સારવા માટે જમ્મુ લઈ જવામાં આવ્યા છે. આ પીડિતોની ઓળખ દીપકકુમાર,સતીશકુમાર અને પ્રીતમ લાલા અને શિવપાલના રૂપે થઈ છે.

જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિંહાએ રાજૌરીમાં થયેલા આતંકવાદી હુમલાની ટીકા કરી છે. તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે આ હુમલામાં શહીદ થયેલા પ્રત્યક નાગરિકને રૂ. 10 લાખ અને એક સરકારી નોકરી આપવામાં આવશે. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને રૂ. એક લાખ આપવામાં આવશે.

આ હુમલાથી જિલ્લામાં દહેશતનો માહોલ છે. આ ઘટનાના વિરોધમાં કેટલાંક સંગઠનોએ આજે હડતાળનું એલાન કર્યું છે અને દોષીઓ પર ત્વરિત કાર્યવાહી કરવાની માગ કરી છે.