હાઇકોર્ટે CM કેજરીવાલ મામલે CBIને ફટકારી નોટિસ

નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે આબકારી નીતિ મામલે CM કેજરીવાલ દ્વારા દાખલ જામીન અરજી પર CBIને નોટિસ જારી કરી છે. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ આ મામલે CBIથી જવાબ માગ્યો હતો અને આ મામલે આગામી સુનાવણી 17 જુલાઈ નક્કી કરી છે.

કોર્ટે એ તથ્ય પર ધ્યાન દોર્યું હતું કે કેજરીવાલે પહેલા ટ્રાયલ કોર્ટમાં જવાને બદલે સીધા હાઇકોર્ટથી જામીન માટે સંપર્ક કર્યો હતો. હાઇકોર્ટે કહ્યું હતું કે અરજીકર્તાએ નીચલી કોર્ટમાં જવાને બદલે સીધા હાઇ કોર્ટમાં ધા નાખી હતી. આ દલીલ પર પછી વિચાર કરવામાં આવશે. CBI એક સપ્તાહમાં જવાબ દાખલ કરશે.CBIએ કેજરીવાલને 26 જૂને ત્યારે ધરપકડ કરી હતી, જ્યારે દિલ્હીના CM ED દ્વારા મની લોન્ડરિંગના એક કેસમાં ન્યાયિક હિરાસતમાં હતા. કેજરીવાલને ED કેસમાં નીચલી કોર્ટે 20 જૂને જામીન આપ્યા હતા. જોકે એ પછી 25 જૂને હાઇકોર્ટે એના પર સ્ટે આપ્યો હતો. ત્યાર બાદ તેમની 26 જૂને CBIએ ધરપકડ કરી હતી અને 29 જૂન સુધી CBI હિરાસતમાં મોકલી દીધા હતા.

CBI દ્વારા હિરાસતની મુદ્દત વધારવાની માગ નહીં કરવામાં આવતાં 29 જૂને તેમને 12 જુલાઈ સુધી ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા હતા. ત્યાર બાદ કેજરીવાલે ત્રીજી જુલાઈએ CBI મામલે જામીન માટે હાઇકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં. CMની CBI દ્વારા તેમની ધરપકડને અને તેમને એજન્સીની હિરાસતમાં મોકલવાના ટ્રાયલ કોર્ટના આદેશને પડકારનારી અરજી પણ હાઇકોર્ટમાં હજી પેન્ડિંગ છે. વરિષ્ઠ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે આ મામલાની સુનાવણી કરવાનું હાઇકોર્ટના અધિકાર ક્ષેત્રમાં છે.

લાંચ લેવાનો આરોપ

CM કેજરીવાલ અને અન્ય આપ નેતાઓ પર આરોપ છે કે તેમણે લિકર નીતિ બનાવવામાં વેપારીઓ અને નેતાઓના એક ગ્રુપ પાસેથી રૂ. 100 કરોડની લાંચ લીધી છે.