હરસિમરતકૌર બાદલે કેન્દ્રીય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં શિરોમણી અકાલી દળના એકમાત્ર પ્રધાન હરસિમરતકૌર બાદલે કૃષિ સંબંધિત ખરડાઓ સામેના વિરોધમાં આજે રાજીનામું આપી દીધું છે.

અકાલી દળ, ભારતીય જનતા પાર્ટીની સૌથી જૂની સહયોગી પાર્ટી છે.

ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ ખાતાનાં પ્રધાન હરસિમરતકૌર બાદલે એમનું રાજીનામું વડા પ્રધાન કાર્યાલયને મોકલી આપ્યું છે.

અકાલી દળના નેતા સુખબીર બાદલે અગાઉ લોકસભામાં કહ્યું હતું કે પાર્ટીનાં નેતા અને કેન્દ્રીય પ્રધાન હરસિમરતકૌર બાદલ સંસદમાં રજૂ કરાયેલા કૃષિ સંબંધિત ખરડા સામેના વિરોધમાં મોદી સરકારમાંથી રાજીનામું આપશે.

હરસિમરતકૌર બાદલ સુખબીર સિંહ બાદલનાં પત્ની છે.

સુખબીર સિંહે કહ્યું કે શિરોમણી અકાલી દળ કિસાનોની પાર્ટી છે અને તે કૃષિ સંબંધિત આ ખરડાનો વિરોધ કરે છે. શિરોમણી અકાલી દળે ક્યારેય પણ યૂ-ટર્ન લીધો નથી. અમે નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)ના સાથી છીએ. અમે સરકારને કિસાનોની લાગણીથી વાકેફ કરી દીધી છે. અમે આ મુદ્દાને દરેક મંચ પર ઉઠાવ્યો છે. કિસાનોની આશંકા દૂર થાય એ માટે અમે બધા પ્રયાસો કરી જોયા ,પરંતુ એવું બન્યું નથી.

પંજાબના કિસાનોએ અન્ન મામલે દેશને આત્મનિર્ભર બનાવવા માટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. પરંતુ નવા ખરડા રાજ્યમાં કૃષિ આધારિત ઢાંચાને બરબાદ કરી નાખે એવો છે. કિસાનોની 50 વર્ષની તપસ્યાને બરબાદ કરી નાખશે. હું ઘોષણા કરું છું કે હરસિમરતકૌર બાદલ સરકારમાંથી રાજીનામું આપશે.