જમ્મુ-કાશ્મીરના ડોડામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ચાર જવાન શહીદ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ભારે હથિયારોથી લેસ આતંકવાદીઓની સાથેની અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત સેનાના ચાર જવાનોનાં મોત થયાં છે, એમ સત્તાવાર સૂત્રોએ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ કાશ્મીર પોલીસના જવાનોએ સોમવારે મોડી સાંજે ડોડા શહેરથી લગભગ 55 કિમી દૂર દેસા વન ક્ષેત્રમાં ધારી ગોટે ઉરબાગીમાં એક સંયુક્ત ઘેરાવબંધી અને તપાસ  ઓપરેશન શરૂ કર્યું હતું, જે પછી અથડામણ શરૂ થઈ હતી.

તેમણે જણાવ્યું હતું કે થોડી વાર બાદ ફાયરિંગ પછી આતંકવાદીઓએ ભાગવાની કોશિશ કરી. એક અધિકારીના નેતૃત્વમાં બહાદુર સૈનિકોએ પડકારભર્યા વિસ્તારમાં ગાઢ જંગલો વચ્ચે તેમનો પીછો ક ર્યો. ત્યારબાદ રાતે 9 વાગ્યાની આજુબાજુ જંગલમાં વધુ એક અથડામણ થઈ. અધિકારીઓએ જણાવ્યું કે આ અથડામણમાં પાંચ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. મંગળવારે સવારે એક અધિકારી સહિતમાંથી ચાર લોકોએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.

સેનાની 16 આર્મી કોર, જેને વ્હાઈટ નાઈટ કોરના નામથી પણ ઓળખવામાં આવે છે તેણે સોશિયલ મિડિયા X પર કહ્યું હતું કે વધારાના સૈનિકોને ડોડાના અથડામણ વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. આતંકવાદી સંગઠન કાશ્મીર ટાઈગર્સે ડોડા હુમલાની જવાબદારી લીધી છે. આ સંગઠન જૈશ એ મોહમ્મદનું જ ઓફ શૂટ છે, જેણે હાલમાં જ કઠુઆમાં સેનાના કાફલા પર થયેલા હુમલાની જવાબદારી લીધી હતી.

જમ્મુ ડિવિઝનના ડોડામાં આ એક મહિનાની અંદર આતંકવાદીઓ સાથે અથડામણની પાંચમી ઘટના છે. આ અગાઉ 9 જુલાઈએ એક એન્કાઉન્ટર થયું હતું. ગયા મહિને 26 જૂને એક આતંકવાદી હુમલો થયો હતો અને 12 જૂને  બે હુમલા થયા હતા. આ તમામ હુમલા બાદ આતંકવાદીઓ અને જવાનો વચ્ચે અથડામણ થઈ હતી.