કોરોનાનો કાળો કેરઃ અડધું પુણે શહેર આજથી કર્ફ્યૂ હેઠળ

પુણેઃ મહારાષ્ટ્રના પુણે શહેરમાં કોરોના વાઈરસના દર્દીઓ સતત વધી રહ્યા હોવાથી સત્તાવાળાઓ ચિંતાગ્રસ્ત થઈ ગયા છે. એમણે શહેરના ઘણા ખરા ભાગોમાં કર્ફ્યૂ લાગુ કરી દીધો છે.

આ શહેરમાં કોરોનાને કારણે થયેલા મરણનો આંકડો વધીને 38 થયો છે. COVID-19 રોગચાળાના નવા 46 કેસો પણ નોંધાયા છે.

પુણે શહેર તથા એના ઉપનગરોમાં 28 વિસ્તારો આજથી બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યાં કર્ફ્યૂ નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે.

પુણેના મ્યુનિસિપલ કમિશનરે શહેરના વધારે ભાગોને સીલ કરી દેવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. એમણે એમ પણ કહ્યું કે વિસ્તારોને સીલ કરી દેવાના એટલું જ નહીં, પણ પોલીસને જ્યાં જરૂર લાગે ત્યાં સખ્તાઈપૂર્વક કર્ફ્યૂનો અમલ પણ કરાવવાનો.

ગઈ 6 એપ્રિલે માર્કેટયાર્ડ તેમજ આરટીઓ સહિત મધ્ય ભાગના મોટા ભાગના વિસ્તારોને સીલ કરી દેવામાં આવ્યા હતા. ત્યાં એક જ દિવસમાં 36 જણના કોરોના કેસ પોઝિટીવ આવ્યા હતા.