કોરોનાની બીજી લહેરઃ ચાર-ધામ યાત્રા સસ્પેન્ડ કરાઈ

દેહરાદૂનઃ કોરોનાવાઈરસ રોગચાળાની બીજી લહેર ઘાતક બની હોવાને કારણે ચાર ધામ યાત્રાને સસ્પેન્ડ કરવાનો ઉત્તરાખંડ સરકારે નિર્ણય લીધો છે. તે છતાં, ચારેય પવિત્ર યાત્રાધામ – બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના મંદિરોના દ્વાર નિર્ધારિત સમયે ખુલ્લા જરૂર મૂકાશે.

રાજ્યા મુખ્ય પ્રધાન તીરથસિંહ રાવતે આજે કહ્યું કે રોગચાળાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને યાત્રાળુઓ માટે આ વર્ષની ચાર ધામ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. 14 મેએ યમુનોત્રી મંદિરના દ્વાર ખોલવા સાથે આ વર્ષની ચાર ધામ યાત્રાનો આરંભ થવાનો હતો. ગયા વર્ષે પણ કોરોના મહાબીમારીને કારણે ચાર ધામ યાત્રાને રાજ્ય સરકારે રદ કરી હતી.