કોંગ્રેસ-પાર્ટી સિધુને નહીં મનાવે; નવો પ્રદેશ-પ્રમુખ શોધશે

ચંડીગઢઃ કોંગ્રેસના પંજાબ એકમના પ્રમુખપદેથી નવજોતસિંહ સિધુએ રાજીનામું આપ્યા બાદ પંજાબ કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. એક તરફ નારાજ થયેલા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહ પણ ભાજપમાં જોડાશે એવા અહેવાલો છે ત્યારે સિધુના રાજીનામાથી પંજાબ કોંગ્રેસમાં મુસીબતનો ઉમેરો થયો છે. જોકે એવા સમાચાર છે કે કોંગ્રેસનું મોવડીમંડળ સિધુને વધારે સમજાવવા તૈયાર નથી. એને બદલે પાર્ટીએ નવા પંજાબ પ્રદેશ પ્રમુખની શોધ શરૂ કરી દીધી છે. પંજાબ કોંગ્રેસના બે નેતાએ સિધુને એમના ઘેર જઈને સમજાવવાની કોશિશ કરી હતી, પરંતુ સિધુ એમનું રાજીનામું પાછું ખેંચવા માન્યા નથી. એમણે એક વિડિયો નિવેદનમાં કહ્યું છે કે પોતે સત્ય માટે એના આખરી શ્વાસ સુધી લડી લેશે.

કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરી સંપૂર્ણપણે પંજાબના મુખ્ય પ્રધાન ચરણજીતસિંહ ચન્નીની પડખે છે. તેણે સિધુને મનાવવા માટે પંજાબ એકમ માટેના પ્રભારી હરીશ રાવતની અમૃતસર-ચંડીગઢ મુલાકાતને રદ કરી દીધી છે.