કોંગ્રેસની લાચારી?: UPમાં ખાલી હાથ, મહારાષ્ટ્રમાં 100 સીટો પર નહીં

નવી દિલ્હીઃ દેશમાં ચૂંટણીનો માહોલ છે. મહારાષ્ટ્ર ને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી થવાની છે, જ્યારે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પેટા ચૂંટણી થવાની છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી નબળી નજરે ચઢે છે, કેમ કે કોંગ્રેસ ગઠબંધનમાં સૌથી વધુ સીટોનું નુકસાન કોંગ્રેસને છે.

ઉત્તર પ્રદેશની નવ સીટો પર થનારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીમાં જારી વિવાદની વચ્ચે બધી નવ સીટો પર SPના ચિહ્ન પર PDAના ઉમેદવારો ઊભા રહેશે. એનો અર્થ કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી ચિહ્ન પર કોઈ નહીં ઊભું હોય. UPની ખસ્તા રાજકીય સ્થિતિનો સંકેત આપે છે.

SP પ્રમુખ અખિલેશ યાદવે કોંગ્રેસના કાર્યકર્તાઓને લઈને કહ્યું હતું કે કોંગ્રેસના અભૂતપૂર્વ સહયોગ અને સમર્થનથી બધી વિધાનસભા સીટો પર ઇન્ડિયા ગઠબંધન જીતશેનો દાવો કર્યો હતો.

બીજી બાજુ, મહારાષ્ટ્રમાં વિપક્ષી ગઠબંધન મહા વિકાસ આઘાડીમાં 255 બેઠકો પર સર્વસંમતિ સાધવામાં આવી છે.  કોંગ્રેસ, શિવસેના (યુબિટી) અને એનસીપી (એસપી), જે એમવીએનો ભાગ છે, દરેક 85 બેઠકો પર ઉમેદવારો ઊભા કરશે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે 270 બેઠકો વહેંચવામાં આવી છે, જેમાંથી 18 બેઠકો સાથી પક્ષોને આપવામાં આવશે.

એમવીએની 15 બેઠકો પર હજુ પણ મૂંઝવણ યથાવત છે.  બુધવારે સાંજે શિવસેના (યુબીટી) સંજય રાઉત, એનસીપી (એસપી)ના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલ અને નાના પટોલેએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં બેઠકોની વહેંચણીની જાહેરાત કરી હતી.  અગાઉ એમવીએ નેતાઓએ દક્ષિણ મુંબઈમાં યશવંતરાવ ચવ્હાણ સેન્ટરમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવાર સાથે અઢી કલાકની મેરેથોન બેઠક કરી હતી.  આ પછી 85-85 સીટોની વહેંચણીની ફોર્મ્યુલા સામે આવી.  સંજય રાઉતે કહ્યું હતું કે ત્રણેય પક્ષોને વહેંચણીમાં 85-85 સીટો મળી છે.