તાલિબાનને જનરલ બિપીન રાવતની ચેતવણી

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા કબજે કર્યા બાદ ભારતે પહેલી જ વાર ઉચ્ચ સ્તરે પ્રત્યાઘાત દર્શાવ્યા છે. ભારતના ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફના વડા, જનરલ બિપીન રાવતે સ્પષ્ટ શબ્દોમાં તાલિબાનને ખુલ્લો પડકાર આપતા કહ્યું છે કે ભારત આતંકવાદની જેમ જ પરિસ્થિતિ જેવી સર્જાશે તેનો મુકાબલો કરવા માટે તૈયાર છે.

જનરલ રાવતે ધ ઈન્ડિયા-યૂએસ પાર્ટનરશિપઃ સિક્યોરિંગ ધ સેન્ચુરી કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે અમને તો પહેલેથી જ અણસાર આવી ગયો હતો કે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવશે. એ માટે અમે એક પ્લાન તૈયાર કર્યો હતો. જેનું નામ છે – કન્ટિજન્સી પ્લાન. પરંતુ આ પ્લાનનો ઉપયોગ ત્યારે જ કરીશું જ્યારે અફઘાનિસ્તાનમાંની પરિસ્થિતિઓની ભારત ઉપર કોઈ અવળી અસર પડશે. ભારત એવી પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. અફઘાનિસ્તાન તરફથી આવનાર કોઈ પણ સમસ્યાનો અમે એવી જ રીતે સામનો કરીશું જે રીતે અમે આતંકવાદ સામે કરતા આવ્યા છીએ.