અમદાવાદ-ગાંધીનગરમાં NSGના કમાન્ડો દ્વારા કવાયત – ‘ગાંડીવ-3’

આતંકવાદ વિરોધી મલ્ટી સિટી-મલ્ટી ટાર્ગેટ વાર્ષિક કવાયત ‘ગાંડીવ-3’નું 25 ઓગસ્ટ, બુધવારે અમદાવાદ અને ગાંધીનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતમાં એનએસજીના કમાન્ડો જવાનોએ વિમાન અપહરણ અને બંધક બનાવવા જેવા હુમલાઓની પરિસ્થિતિમાં ત્વરિત પ્રતિસાદ આપી, ત્વરા સાથે દુશ્મનો પર ત્રાટકવાની એમની ક્ષમતાનું સશસ્ત્ર કૌશલ્ય દાખવ્યું હતું. ‘ગાંડીવ’ મહાભારતના યુદ્ધ વખતે મહારથી અર્જુનના ધનુષનું નામ હતું.

આ કવાયત 28 ઓગસ્ટ સુધી ચાલશે. આતંકવાદી હુમલાની સંભાવના ધરાવતા 30-35 જેટલા સ્થળોને આ કવાયત માટે પસંદ કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર શહેરોનો સમાવેશ કરાયો છે.

આ કવાયતનું નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી)ના ડાયરેક્ટર જનરલ તથા અન્ય અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું.