CBIએ લાલુ યાદવ, અન્ય આરોપીઓ વિરુદ્ધ દાખલ કરી ચાર્જશીટ

નવી દિલ્હીઃ CBIએ લેન્ડ ફોર જોબ મામલે લાલુ પ્રસાદ અને અન્ય આરોપીઓની વિરુદ્ધ કંક્લુડિંગ ચાર્જશીટ દાખલ કરી દીધી છે. આ ચાર્જશીટમાં 78 લોકોનાં નામ છે. આ પહેલાં રાઉઝ એવેન્યુ કોર્ટે CBIને ચાર્જશીટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે 29 મેએ આદેશમાં કહ્યું હતું કે CBI સાત જૂન સુધી ફાઇનલ ચાર્જશીટ દાખલ કરે.

કોર્ટે CBI પર દરેક તારીખે ચાર્જશીટ દાખલ કરવા માટે સમય માગવા પર નારાજગી વ્યક્ત કરી હતી. CBIએ લેન્ડ ફોર જોબ મામલામાં લાલુ પ્રસાદ યાદવ અને અન્ય આરોપીઓની વિરુદ્ધ કંક્લુડિંગ ચાર્જશીટ દાખલ કરી છે. CBIએ એ ચાર્જશીટ એડિશનલ સેશન જજ વિશાલ ગોગની કોર્ટમાં લાલુ પ્રસાદ યાદવ સહિત અન્યોની વિરુદ્ધ દાખલ કરી હતી. CBIએ કહ્યું હતું કે મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે. છ જુલાઈ સુધી આ મામલામાં મંજૂરી મળવાની અપેક્ષા છે. કોર્ટ ચાર્જશીટ પર છઠ્ઠી જુલાઈએ સુનાવણી કરશે.

શું છે લેન્ડ ફોર જોબ મામલો?

લેન્ડ ફોર જોબ મામલો 2004થી 2009ની વચ્ચેનો છે, જ્યારે લાલુ યાદવ રેલવેપ્રધાન હતા. લાલુ પર આરોપ છે કે લાલુ યાદવે રેલવેપ્રધાનના પદે રહેતાં પરિવારને જમીન અપાવવાના બદલામાં રેલવેમાં નોકરીઓ અપાવી હતી. રેલવેમાં કરવામાં આવેલી ભરતીઓ ભારતીય રેલેવેના માપદંડોના દિશા-નિર્દેશો અનુસાર નહોતી.