મુંબઈ, જયપુર સહિત દેશના 7 એરપોર્ટને બોમ્બ વડે ફૂંકી મારવાની ધમકી મળી

જયપુરઃ દિલ્હી અને જયપુરના વિમાનીમથકોના અડધા ડઝન જેટલા અધિકારીઓને ઈમેલ મળ્યો છે જેમાં એવી ધમકી આપવામાં આવી છે કે સાત શહેરના એરપોર્ટ અને વિમાનોને બોમ્બ વિસ્ફોટ વડે ફૂંકી મારવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ઈમેલ ગઈ કાલે રાતે 10.23 વાગ્યે આવ્યો હતો. એમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે દિલ્હી, જયપુર, લખનઉ, ચંડીગઢ, મુંબઈ, ચેન્નાઈ અને અમદાવાદ એરપોર્ટને બોમ્બ વડે ફૂંકી મારવામાં આવશે.

આ ધમકીભર્યા ઈમેલને કારણે જયપુર એરપોર્ટ ખળભળાટ મચી ગયો હતો. આ ઈમેલ સત્તાવાર કસ્ટમર કેર આઈડી પર આવ્યો હતો. આની જાણ થતાવેંત સીઆઈએસએફ તંત્રના અધિકારીઓએ ચાર્જ સંભાળી લીધો હતો. એમને તેમાં સ્થાનિક પોલીસો સહાયતા કરી રહ્યા છે. જવાનોએ તપાસ અને સંભવિત બોમ્બની ખોજ શરૂ કરી દીધી છે. સાથોસાથ એરપોર્ટ તથા અહીં ઉતરનારી ફ્લાઈટ્સની તલાશી અને સફાઈ કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.