આઝાદે આર્ટિકલ 370 દૂર કર્યા મુદ્દે વિરોધીઓને આડે હાથ લીધા

ડોડાઃ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના પ્રમુખ ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે આર્ટિકલ 370ને નાબૂદ કરવાનો વિરોધ કરવાવાળા લોકોને કેન્દ્ર શાસિત રાજ્ય જમ્મુ અને કાશ્મીરના ઇતિહાસ અને ભૂગોળની કોઈ માહિતી નથી. તેમની આ ટિપ્પણી ત્યારે આવી છે, જ્યારે સુપ્રીમ કોર્ટ આર્ટિકલ 370 હેઠળ રાજ્ય રહેલા જમ્મુ-કાશ્મીર પાસેથી વિશેષ દરજ્જો દૂર કર્યાના કેન્દ્રના પગલાની બંધારણીય કાયદેસરતાને પડકારતી અરજીઓ પર સુનાવણી થઈ રહી છે. બીજી બાજુ આ મહિને કલમ 307 ખતમ કર્યાનાં ચાર વર્ષ પૂરાં થવાના પ્રસંગે ભાજપે કાશ્મીરમાં શાંતિ, વિકાસ અને સમૃદ્ધિના નવો યુગ ઊભરી આવ્યાની વાત કરી છે.

આઝાદે ક્ષેત્રીય પાર્ટીઓનું નામ લીધા વગર તેમના પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જે લોકો આર્ટિકલ 370 રદ કરવાનો વિરોધ કરી રહ્યા છે, તેઓ વાસ્તવિક સ્થિતિની સાથે-સાથે જમ્મુ-કાશ્મીરના ઇતિહાસ અને ભૂગોળથી અજાણ છે. આર્ટિકલ 370 કોઈ વિશેષ વિસ્તાર, રાજ્ય અથવા ધર્મ માટે નથી, બલકે બધા માટે સમાન રૂપે લાભકારક હતી. મને સુપ્રીમ કોર્ટ પર પૂર્ણ વિશ્વાસ છે. મારું માનવું છે કે કોર્ટ આ પગલા પર બધાં પાસાંઓનો પર વિચાર કરશે.

આ પહેલાં ભાજપે એ સત્તાવાર પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે આર્ટિકલ 370ને દૂર કરવાથી જમ્મુ-કાશ્મીરમાં શાંતિ, વિકાસ અને સમૃદ્ધિ આવી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની આગેવાનીમાં સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બંધારણીય ખંડપીઠે આર્ટિકલ 370 પર સુનાવણી દરમ્યાન સવાલ પૂછ્યો હતો કે એક જોગવાઈ ખાસ કરીને બંધારણમાં એક અસ્થાયી જોગવાઇના રૂપે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, એ સ્થાયી કેવી રીતે થઈ શકે?