‘કોરોના સામે સરકારી-વિભાગો સંગઠિત બનીને લડે છે’

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ આજે અહીં પ્રધાનમંડળની બેઠક યોજાઈ હતી જેમાં દેશમાં પ્રવર્તતી કોરોનાવાઈરસ રોગચાળાની ભયજનક પરિસ્થિતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં એવી નોંધ લેવાઈ હતી કે હાલનો રોગચાળો કોઈ એક સદીમાં એકવાર આવે એવી કટોકટી છે, જેણે આખી દુનિયા સમક્ષ મોટો પડકાર ફેંક્યો છે. બેઠકમાં, રોગચાળાનો સામનો કરવામાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને જનતાના સહિયારા પ્રયાસો પર આધારિત ‘ટીમ ઈન્ડિયા’ જેવા અભિગમ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

વડા પ્રધાને બેઠકમાં જણાવ્યું હતું કે સરકારના તમામ વિભાગો મહાબીમારીએ સર્જેલી પરિસ્થિતિનો સામનો કરવા સંગઠિત બનીને અને ત્વરિત રીતે કામ કરી રહ્યાં છે. વડા પ્રધાને સાથી પ્રધાનોને વિનંતી કરી હતી કે તેઓ એમના સંબંધિત મતવિસ્તારોના લોકો સાથે સંપર્કમાં રહે અને એમની પાસેથી જાણકારી મેળવતા રહે.