ઝારખંડ પછી તેલંગાણામાં ખેડૂતોની રૂ. બે લાખની સુધીની માફીની જાહેરાત  

નવી દિલ્હીઃ ખેડૂતોની આર્થિક સમસ્યાઓને ધ્યાનમાં રાખતાં તેલંગાણામાં CM રેવંત રેડ્ડીની સરકારે દેવાંમાફીનું એલાન કર્યું છે. તેમણે કહ્યું હતું કે રૂ. બે લાખનું દેવાંમાફી ટૂંક સમયમાં લાગુ થશે. રાજ્ય મંત્રી મંડળની બેઠક પછી પત્રકારો સાથે વાતચીતમાં તેમણે કહ્યું હતું કે 2018થી 2023ની વચ્ચે જે ખેડૂતોએ રૂ. બે લાખ સુધીની લોન લીધી છે, તેમની લોનો માફ કરવામાં આવશે. આ લોનમાફીથી રાજ્યના ખજાના પર આશરે રૂ. 31,000 કરોડનો બોજ પડશે, એમ તેમણે કહ્યું હતું.

CM રેવંત રેડ્ડીએ કહ્યું હતું કે મંત્રીમંડળે 12 ડિસેમ્બર, 2018થી નવ ડિસેમ્બર, 2023 સુધીના પાંચ વર્ષના સમયગાળા માટે રાજ્યના ખેડૂતો દ્વારા લેવામાં આવેલી રૂ. બે લાખની લોન માફ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું હતું કે પાત્રતાની શરતો સહિત ઋણમાફીનું વિવરણ ટૂંક સમયમાં એક સરકારી આદેશ (GO)માં જાહેર કરવામાં આવશે.

તેમણે આરોપ લગાવ્યો હતો કે પાછલી BRS સરકારે રૂ. એક લાખની લોનમાફીના પોતાના વચનને ઇમાનદારીથી લાગુ નહીં કરીને ખેડૂતો અને કૃષિને સંકટમાં મૂકી દીધાં હતાં. તેમની સરકાર રૂ. બે લાખના કૃષિ દેવાંમાફીના ચૂંટણી વચન પૂરાં કરી રહી છે, એમ તેમણે કહ્યું હતું.

આ પહેલાં ઝારખંડમાં ખેડૂતોને લોનમાફી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યના CM ચંપઈ સોરેને કહ્યું હતું કે તેમની ગઠબંધનની સરકાર ખેડૂતોને રૂ. બે લાખ સુધીની કૃષિ લોન માફ કરશે. એ સાથે મફત વીજ ક્વોટા વધારીને સરકાર 200 યુનિટ કરશે. એ માટે તેમણે કેટલીય બેન્કોથી પ્રસ્તાવ રજૂ કરવા નિર્દેશ આપ્યા હતા.