દિલ્હીમાં આજ રાતથી 6-દિવસનું સંપૂર્ણ લોકડાઉન

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં કોરોનાવાઈરસ બીમારીના કેસ ખૂબ વધી જતાં આજે રાતથી છ દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવશે, એમ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે. દિલ્હીમાં કોરોનાના કેસ વધી ગયા છે અને તેની સામે હોસ્પિટલોમાં પથારીઓની સંખ્યા અને ઓક્સિજનનો પુરવઠો ખૂબ ઓછા છે. આ હાલત વચ્ચે કેજરીવાલના વડપણ હેઠળની આમ આદમી પાર્ટી સરકારે 6-દિવસનું લોકડાઉન લાગુ કરવાનું નક્કી કર્યું છે. જે આવતા સોમવારે સવારે પાંચ વાગ્યા સુધી લાગુ રહેશે. દિલ્હીમાં ગઈ કાલે એક જ દિવસમાં કોરોનાના 25,462 કેસ નોધાયા હતા અને 167 જણના મરણ નિપજ્યા હતા.

લોકડાઉન દરમિયાન કેટલુંક બંધ રહેશે, કેટલુંક ખુલ્લું રહેશેઃ

  • આવશ્યક સેવાઓ, મેડિકલ સેવાઓ ચાલુ રહેશે.
  • લગ્નસમારંભોમાં માત્ર 50 લોકોને જ હાજર રાખવાની પરવાનગી
  • કાયદેસર આઈકાર્ડ બતાવવામાં ખાનગી મેડિકલ કર્મચારીઓને છૂટ
  • ગર્ભવતી સ્ત્રીઓ, તબીબી સહાય લેવા જતા દર્દીઓને કાયદેસર આઈકાર્ડ બતાવવાની જરૂર નહીં.
  • કોરોના ટેસ્ટ કરાવવા કે રસી લેવા જતા લોકોને કાયદેસર આઈકાર્ડ દેખાડવું ફરજિયાત નહીં.
  • એરપોર્ટ કે રેલવે સ્ટેશન કે ઈન્ટર-સ્ટેટ બસ ટર્મિનલ ખાતે જતા કે ત્યાંથી આવતા લોકોને કાયદેસર ટિકિટ બતાવાતા પ્રવાસ કરવા દેવામાં આવશે.
  • પત્રકારોને કાયદેસર આઈડી કાર્ડ બતાવવામાંથી મુક્તિ.
  • આવશ્યક સેવાઓ માટે આંતર-રાજ્ય અવરજવર અને પરિવહન સેવા પર કોઈ નિયંત્રણ નહીં.
  • ધાર્મિક સ્થળો ખુલ્લા રાખી શકાશે, પણ ભક્તો કે મુલાકાતીઓને આવવાની પરવાનગી નથી.
  • ઓટોરિક્ષા અને ટેક્સીઓમાં માત્ર બે જ પ્રવાસીને બેસાડી શકાશે.