કોરોનાના 54,366 નવા કેસ, 690નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 77 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 54,366 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 690 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 77,61,312 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,17,306 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 69,48,497 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 73,979 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,95,509એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 89.52 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.51 ટકા થયો છે.

સ્વદેશી કોરોના વેક્સિનનું અંતિમ તબક્કાનું ટ્રાયલ

સ્વદેશી કોરોના વેક્સિનનું અંતિમ તબક્કાનું ટ્રાયલ આવતા મહિને શરૂ થાય એવી શક્યતા છે. ભારત બાયોટેકને ડ્રગ રેગ્યુલેટર તરફથી ત્રીજા તબક્કા માટે ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે. DGCIની એક્સપર્ટ કમિટીની મંગળવારે બેઠક હતી. તેમાં રસીના અંતિમ ટ્રાયલને મંજૂરી મળી ગઈ છે. ભારતમાં વેક્સિનના ટ્રાયલમાં 25,000થી વધુ લોકો સામેલ થાય તેવી સંભાવના છે. તેમને 28 દિવસના અંતરાલ પર રસીના બે ડોઝ અપાશે. શરૂઆતના ટ્રાયલમાં રસીનાં પરિણામોએ આશા જગાવી છે. Covaxin પહેલી સ્વદેશી કોરોના વાયરસ રસી છે. તેને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની સાથે મળીને બનાવી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.