ચોમાસુ સત્રમાં દિલ્હી વટહુકમ સહિત 30 બિલ રજૂ થશે

નવી દિલ્હીઃ દેશમાં ચોમાસુ સત્ર 20 જુલાઈ એટલે કે આવતી કાલથી શરૂ થવાનું છે. આ સત્રમાં ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે સરકાર UCCને લઈને પણ ડ્રાફ્ટ રજૂ કરી શકે છે, પરંતુ સર્વપક્ષી બેઠકમાં સરકારે એક યાદી મૂકી હતી, એમાં UCCનો કોઈ ઉલ્લેખ નથી. એવું માનવામાં આવે છે કે આ ચોમાસુ સત્રમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ને લઈને કોઈ પ્રસ્તાવ નહીં આવે.

જે દિલ્હી વટહુકમને લઈને દેશઆખામાં બબાલ ચાલી રહી છે. એનાથી સંકળાયેલું બિલ રજૂ થવાની શક્યતા છે. આ સત્રમાં દિલ્હી સરકાર (સંશોધન) બિલ રજૂ કરવાની તૈયારી છે. આ પ્રકારે પ્રોવિઝનલ કલેક્શન ઓફ ટેક્સસ બિલ, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એન્ડ બેન્ક બિલ, ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, પોસ્ટલ સર્વિસિઝ બિલ જન વિશ્વાસ બિલ, ડ્રગ્સ મેડિકલ ડિવાઇસિસ એન્ડ કોસ્મેટિક્સ બિલ સામેલ છે.

આ ચોમાસુ સત્રમાં વિરોધ પક્ષ ઇચ્છે છે કે સરકાર મણિપુર હિંસા પર ચર્ચા કરાવે. એના પર કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે સરકાર ચર્ચા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. સ્પીકર મંજૂરી આપશે તો એના પર વાત થશે. મણિપુરમાં બે મહિના પછી પણ હિંસાનો દોર જારી છે. દરરોજ કોઈ ને કોઈ હિંસક ઘટના બને છે.

આ ચોમાસુ સત્ર તોફાની બની રહેવાનાં એંધાણ છે. એક બાજુ સરકાર મહત્ત્વના બિલ પાસ કરાવવાના પ્રયાસ કરશે તો બીજી બાજુ વિપક્ષ રેલવે સુરક્ષા, મોંઘવારી અને અદાણી મામલે JPC રચવા સહિત અન્ય મુદ્દાઓ પર સરકારને ઘેરવાના પ્રયાસ કરશે.