ઉન્નાવ રોડ અકસ્માતમાં 18 લોકોનાં મોત, 20 ઘાયલ

લખનૌઃ ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં ભીષણ રોડ અકસ્માત થયો છે. આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર સ્લીપર બસ અને ટેન્કરની વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં 18 લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં બે મહિલાઓ અને એક બાળક પણ સામેલ છે. આ અકસ્માતમાં 20થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બિહારના શિવગઢથી દિલ્હી જઈ રહેલી સ્લીપર બસ બેહટા મુજાવર પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં હવાઈ પટ્ટી પર ટેન્કર સાથે જોરથી અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બસના ફુરચેફુરચા ઊડી ગયા હતા.

પોલીસના જણાવ્યા મુજબ બિહારના સીતામઢીથી દિલ્હી જઈ રહેલી ડબલ ડેકર બસ સવારે 4.30 કલાકે ઉન્નાવના બેહટા મુજાવર પોલીસ સ્ટેશનના ગઢા ગામની સામે પહોંચી, ત્યારે દૂધના ટેન્કરનો ઓવરટેક કરવના પ્રયાસમાં ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે બસ બે ભાગોમાં ફાટી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા ઘટનાસ્થળે SP અને DM પહોંચ્યા હતા. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

CM યોગી આદિત્યનાથે ઉન્નાવ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે મારી સંવેદનાઓ શોકાકુળ પરિવારની સાથે છે. તેમણે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને ઘટનાસ્થળે રાહત કાર્યમાં ઝડપ લાવવાના નિર્દેશ આપ્યા હતા.

વડા પ્રધાન ઓફિસની ઓફિસના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે વડા પ્રધાને ઉન્નાવ દુર્ઘટનામાં પ્રત્યેક મૃતકના પરિવારજનોને PMNRFથી રૂ. બે લાખની રકમની ઘોષણા કરી હતી અને ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે. રાષ્ટ્રપતિએ આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.