હાઈવેનો એ પટ્ટો આ-વર્ષમાં 62ને ભરખી ચૂક્યો છે

મુંબઈઃ ગઈ 4 સપ્ટેમ્બરે ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું જ્યાં મર્સિડીઝ કાર અકસ્માતમાં મૃૃત્યુ થયું હતું તે મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર 100 કિલોમીટર જેટલા લાંબા પટ્ટા પર આ વર્ષમાં અકસ્માત સંબંધિત 62 મૃત્યુ નોંધાયા છે. આ પટ્ટો મુંબઈની પડોશના થાણે જિલ્લાના ઘોડબંદર અને પાલઘર જિલ્લાના દાપચારી વચ્ચેનો છે. આ પટ્ટા પર આ જ વર્ષમાં 262 અકસ્માતો થયા છે. એમાં 62 જણે જાન ગુમાવ્યો છે. આ 62 જણમાં સાયરસ મિસ્ત્રી અને એમના મિત્ર જહાંગીર પંડોલનો સમાવેશ થાય છે, જે બંને કમનસીબ મર્સિડીઝ કારમાં પ્રવાસ કરતા હતા. આ 262 અકસ્માતોમાં 192 જણ ઘાયલ પણ થયા છે. મિસ્ત્રીની કારને નડેલા અકસ્માત કાર ચલાવતાં હતાં મુંબઈસ્થિત ગાઈનેકોલોજિસ્ટ ડો. અનાહિતા પંડોલ, જેમને તે અકસ્માતમાં ગંભીર ઈજા થઈ હતી.

સત્તાવાર ડેટામાં દર્શાવવામાં આવ્યું છે કે પાલઘર જિલ્લાના ચારોટી નજીક  મિસ્ત્રીની કારને થયેલો અકસ્માત તે સ્પોટ પરનો એકમાત્ર અકસ્માત નહોતો. આ વર્ષમાં તે સ્થળે 25 ગંભીર અકસ્માતો થયા છે અને એમાં 26 જણના મૃત્યુ થયા છે. ચારોટી એક બ્લેક સ્પોટ ગણાય છે જ્યાં અવારનવાર અકસ્માતો થતા હોય છે. મુંબઈ તરફની દિશામાં, સૂર્યા નદી પર પૂલ આવે એ પહેલાં રસ્તો એક વળાંક લે છે અને ત્રણ-લેનવાળો કેરેજવે બે-લેનવાળા કેરેજવેમાં સાંકળો બની જાય છે. વળી, પૂલ આવે એ પહેલાં વાહનચાલકોને વાહનની સ્પીડ ઘટાડવાનું દર્શાવતું એકેય અસરકારક રોડ સાઈનબોર્ડ પણ પણ નથી મૂકાયું.