‘મહિનાના અંત સુધીમાં મુંબઈ અનલોક થશે’

મુંબઈઃ શહેરમાં કોરોનાવાઈરસના કેસ સતત ઘટતા રહ્યા હોવાથી મેયર કિશોરી પેડણેકરે જાહેરાત કરી છે કે આ મહિનાના અંત સુધીમાં શહેરને અનલોક કરી દેવામાં આવશે. એએનઆઈ સમાચાર સંસ્થાને એમણે જણાવ્યું છે કે, મુંબઈગરાઓ માટે સારા સમાચાર છે. શહેરને આ મહિનાના અંત સુધીમાં અનલોક કરી દેવામાં આવશે. અમે નક્કી કરી લીધું છે. પરંતુ લોકો માટે માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું આવશ્યક રહેશે.

મહારાષ્ટ્ર સરકારે આ મહિનાના આરંભમાં મુંબઈમાં કોરોનાવાઈરસ નિયંત્રણોને હળવા કરવાની જાહેરાત કરી હતી. ગઈ કાલે મુંબઈમાં કોરોનાના નવા 356 કેસ બન્યા હતા, જે 21 ડિસેમ્બર (949)ની સરખામણીએ ઘણા ઓછા છે.