હવે થયો ગભરાટઃ મનોજ મુંતશીરે પોલીસ સુરક્ષા માગી, પોલીસે આપી

મુંબઈઃ હાલમાં જ રિલીઝ થયેલી હિન્દી, તેલુગુ ફિલ્મ ‘આદિપુરુષ’ તેના વાંધાજનક સંવાદો અને દિગ્દર્શનની અનેક પ્રકારની ખામીઓને કારણે મોટા વિવાદમાં સપડાઈ ગઈ છે. સંવાદલેખક મનોજ મુંતશિર શુક્લાની સોશિયલ મિડિયા પર આકરી ટીકા કરવામાં આવી રહી છે અને જાહેરમાં પણ લોકોમાં ઘણો રોષ ફેલાયો છે. આને પરિણામે ગભરાઈ ગયેલા મુંતશિરે પોતાનો જીવ જોખમમાં છે એવું જણાવીને મુંબઈ પોલીસ પાસે સુરક્ષા માગી છે. પોલીસે સુરક્ષા પૂરી પાડી છે અને કહ્યું છે કે આ મામલે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.

ફિલ્મમાં ભગવાન હનુમાનના સંવાદોને કારણે લોકોમાં ખૂબ નારાજગી અને રોષ ફેલાયો છે. મુંતશિરે કહ્યું છે કે લોકોના રોષને ધ્યાનમાં લઈને નિર્માતાઓએ ફિલ્મના કેટલાક ડાયલોગ્સ બદલવાનું નક્કી કર્યું છે. તે સુધારિત લાઈનો અઠવાડિયામાં ફિલ્મમાં ઉમેરી દેવામાં આવશે.